આજના સમયમાં લગ્નની નોંધણી કરાવવી અનિવાર્ય બની ગઈ છે, પરંતુ શું માત્ર રજિસ્ટ્રેશન કરાવી લેવાથી લગ્ન કાયદેસર બની જાય છે? આ સવાલનો જવાબ આપતા ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ સપ્તપદી જેવા આવશ્યક ધાર્મિક સંસ્કારો અને રિવાજા વિના માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે લગ્ન કાયદેસર ગણી શકાય નહીં.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ખંડપીઠે આ ચુકાદો આપતા નોંધ્યું હતું કે, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૭ મુજબ લગ્ન ત્યારે જ કાયદેસર અને માન્ય ગણાય જ્યારે તે પક્ષકારોના પ્રચલિત રિવાજા અને ધાર્મિક વિધિઓ અનુસાર સંપન્ન થયા હોય. જે સમાજમાં ‘સપ્તપદી’ (સાત ફેરા)ની વિધિ પ્રચલિત છે, ત્યાં સાતમું પગલું પૂર્ણ થયા પછી જ લગ્ન કાયદેસર રીતે પૂર્ણ ગણાય છે.
અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું કે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ૮ હેઠળનું રજિસ્ટ્રેશન માત્ર પહેલેથી કાયદેસર રીતે સંપન્ન થયેલા લગ્નનો પુરાવો પૂરું પાડે છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પોતે લગ્નનું સર્જન કરી શકતું નથી. જા લગ્ન માટેની આવશ્યક વિધિઓ જ કરવામાં આવી ન હોય, તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને કોઈ કાયદાકીય માન્યતા મળતી નથી.
આ કેસમાં એક અરજદારે ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ફેમિલી કોર્ટે માત્ર મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઉપલબ્ધ હોવાથી લગ્ન માન્ય હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરી કેસમાં ટ્રાયલ ચલાવવાનો નિર્ણય લીધો હતો. જાકે, હાઈકોર્ટે નોંધ્યું કે પ્રતિવાદી મહિલાએ લેખિતમાં સ્વીકાર્યું હતું કે બંને વચ્ચે કોઈપણ હિન્દુ લગ્નવિધિ થઈ નહોતી. આવી સ્પષ્ટ કબૂલાત પછી, માત્ર રજિસ્ટ્રેશનના આધારે ટ્રાયલ ચલાવવાનો કોઈ અર્થ રહેતો નથી. પરિણામે, હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ રદ કરી, તે લગ્નને રદબાતલ જાહેર કર્યા હતા.
હાઈકોર્ટે આ ચુકાદામાં સમાજને એક ગંભીર સંદેશ પણ આપ્યો છે. અદાલતે જણાવ્યું હતું કે હિન્દુ પરંપરામાં લગ્ન એ માત્ર ગીત-સંગીત, ભોજન કે સામાજિક ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ તે એક પવિત્ર સંસ્કાર છે. તે જીવનભરની સમાનતા, પરસ્પર સન્માન અને જવાબદારીના સંબંધની શરૂઆત છે. યુવા પેઢીએ લગ્નના આ પવિત્ર સ્વરૂપને સમજવું જાઈએ અને તેને વેપારી વ્યવહાર તરીકે જાવો જાઈએ નહીં.










































