બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને ૯ જુલાઈના રોજ બારન જિલ્લા ગ્રાહક અદાલતે સમન્સ પાઠવ્યા છે. તેમના પર ગુટખાની જાહેરાતોમાં કેસરનો ઉપયોગ કરીને અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનોનો ખોટો પ્રચાર કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. કોર્ટે શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ સહિત ચાર વ્યક્તિઓને નોટિસ ફટકારી છે અને વિમલ પાન મસાલાના માલિક વિમલ અગ્રવાલને પણ સમન્સ પાઠવ્યા છે.
બારણના નાગરિક અધિકાર સંગઠનના સચિવ વીરેન્દ્ર સિંહે ગુટખા કંપની અને કલાકારો સામે કોર્ટમાં આરોપો દાખલ કર્યા છે. ફરિયાદી વીરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ૫ રૂપિયાના ગુટખાના પાઉચમાં પ્રતિ કિલો ૫ લાખ રૂપિયાનું કેસર ઉમેરવાનો દાવો સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે અને ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે દેશભરમાં જાહેરાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ પસાર કરવા માટે ૨૨ જૂનની આગામી તારીખ નક્કી કરી છે.
કોર્ટે અભિનેતાઓ અને કંપનીના માલિકને, રૂબરૂમાં અથવા તેમના વકીલો દ્વારા, ૯ જુલાઈના રોજ સમન્સ પાઠવ્યા છે. ગ્રાહક કોર્ટના રીડર યોગેશ કુમાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, આરોપીઓએ નોટિસ મળ્યાના ૩૦ દિવસની અંદર કોર્ટમાં પોતાનો પક્ષ અને પુરાવા રજૂ કરવાના રહેશે. જા પ્રતિવાદીઓ અથવા તેમના પ્રતિનિધિઓ ૯ જુલાઈએ હાજર નહીં થાય, તો કોર્ટ એકપક્ષીય રીતે કાર્યવાહી કરી શકશે અને કેસમાં ચુકાદો આપી શકશે.
આ પહેલી વાર નથી જ્યારે દાવાઓ અને કથિત ભ્રામક જાહેરાતો પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોય. હકીકતમાં, વિવિધ ઉત્પાદનોના દાવાઓ પર વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. આ ઘટના સેલિબ્રિટીઓ દ્વારા ઉત્પાદન સમર્થનની જવાબદારી પર પ્રશ્નો ઉભા કરે છે. ઘણા નિષ્ણાતો કહે છે કે સેલિબ્રિટીઓ માત્ર મનોરંજન માટે જ નહીં પરંતુ ગ્રાહકો પર પણ ઊંડી અસર કરે છે, અને તેથી, તેમણે દાવાઓની સત્યતા ચકાસવી જાઈએ. તમાકુ ઉત્પાદનોના પ્રમોશન પર પહેલા પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, પરંતુ પાન મસાલા કેસમાં ‘કેસરી’ દાવાએ એક નવું પરિમાણ ઉમેર્યું છે. બોલિવૂડ સ્ટાર્સ સામે પહેલા પણ આવા જ કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ આ વખતે, ત્રણ અગ્રણી નામોની સંડોવણીએ ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે.















































