અમદાવાદમાં આજે નીટ પરીક્ષા પેપર લીક મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અમદાવાદ મુલાકાત દરમિયાન એનએસયુઆઇના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેપર લીક કાંડ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે મંત્રીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા વિશેષ સતર્કતા દાખવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, કેન્દ્રીય શિક્ષણમંત્રી આજે અમદાવાદ સ્થિત  ઇન્ડિયા ઇસ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ ખાતે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.નીટ પેપર લીક વિવાદને ધ્યાનમાં રાખીને મંત્રીના કાર્યક્રમની વિગતો ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી, છતાં એનએસયુઆઇના કાર્યકરોને આ અંગે જાણ થઈ ગઈ હતી.

મંત્રીના આગમન પહેલા જ  આઇઆઇએમ અમદાવાદની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મંત્રીનો કાફલો બહાર નીકળતા જ એનએસયુઆઇના કાર્યકરો કાળા વાવટા અને કાળા કપડાં સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કાર્યકરોએ મંત્રીના કાફલાને રોકવાનો પ્રયાસ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. ઘટનાના પગલે થોડા સમય માટે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

આ વિરોધ પ્રદર્શન અંગે ગુજરાત એનએસયુઆઇના પ્રદેશ મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નીટ પરીક્ષાનું પેપર લીક  થવાને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા છે. તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી હતી.

નીટ પરીક્ષા પેપર લીક વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરીક્ષા રદ થતાં લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નિરાશા અને રોષની લાગણી જોવા મળી રહી છે. અમદાવાદમાં થયેલા આજના વિરોધ પ્રદર્શને ફરી એકવાર શિક્ષણ વ્યવસ્થા સામે ઊભા થયેલા પ્રશ્નોને વધુ ગંભીર બનાવ્યા છે.