વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠકમાં દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. સરકારે ઉદ્યોગ, કૃષિ, માર્ગ બાંધકામ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોને લક્ષ્ય બનાવતી રૂ. ૫૪,૯૨૬ કરોડના જંગી નાણાકીય ખર્ચ સાથે ચાર મુખ્ય યોજનાઓને મંજૂરી આપી છે.

આ પગલું ભારતના એકંદર આર્થિક વિકાસ અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. બેઠક પૂર્ણ થયા પછી, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વીની વૈષ્ણવે આ નિર્ણયોની વિગતો મીડિયા સાથે શેર કરી.

મુખ્ય મંત્રીમંડળના નિર્ણયો શું હતા?

ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (ભાવ્ય)ઃ કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય યોજનાને મંજૂરી આપી છે. ‘ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (ભાવ્ય’) નામની આ કેન્દ્રીય ક્ષેત્ર યોજનાનો ખર્ચ ૩૩,૬૬૦ કરોડ છે.

આ યોજના હેઠળ, દેશભરમાં ૧૦૦ રોકાણ-તૈયાર, પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઉદ્યાનો વિકસાવવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ઉદ્યોગો માટે માળખાગત સુવિધા ઊભી કરવાનો છે. કેન્દ્ર સરકાર પ્રતિ એકર ?૧ કરોડ સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે. આ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી નાણાકીય વર્ષ ૨૦૩૧-૩૨ સુધીના છ વર્ષના સમયગાળા માટે છે. ઔદ્યોગિક પાર્ક માટે ઓછામાં ઓછા ૧૦૦ એકર વિસ્તારની જરૂર પડશે. જાકે, ઉત્તરપૂર્વ અને પર્વતીય પ્રદેશોમાં આ મર્યાદા ૨૫ એકર નક્કી કરવામાં આવી છે. આ પહેલ દેશમાં ઉત્પાદન અને રોજગાર સર્જનને વેગ આપશે.

કપાસ એમએસપી (૨૦૨૩-૨૪)ઃ કૃષિ ક્ષેત્ર, ખાસ કરીને કપાસ ઉત્પાદક ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે, ૨૦૨૩-૨૪ કપાસ સીઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ માટે ૧૧,૭૧૨ કરોડ ફાળવવામાં આવ્યા છે.

હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ રાષ્ટ્રીય માર્ગ જોડાણને મજબૂત બનાવવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, મંત્રીમંડળે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૨૭ ના બારાબંકીથી બહરાઇચ વિભાગને ૪-લેન કરવા માટે ૬,૯૬૯ કરોડના માળખાગત પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

નાના જળવિદ્યુત વિકાસ યોજનાઃ સ્વચ્છ અને નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વધારવાના હેતુથી નાના જળવિદ્યુત વિકાસ યોજના માટે ૨,૫૮૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.