મિમી ચક્રવર્તીએ લાઈવ સ્ટેજ શો દરમિયાન હેરાનગતિ અને અપમાનનો આરોપ લગાવ્યો છે. આ ઘટના રવિવારે બોનગાંવ શહેરના નયાગ્રામ વિસ્તારમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં બની હતી.
મિમીની ફરિયાદ મુજબ, આયોજકોમાંથી એક તન્મય શાસ્ત્રી સ્ટેજ પર ચઢી ગયો. તેણે મીમીના પ્રદર્શનમાં વિક્ષેપ પાડ્યો અને તેને મધ્યરાત્રિએ સ્ટેજ છોડી દેવા કહ્યું. મીમીએ કહ્યું કે તેણીને આ ઘટનાથી ખૂબ અપમાન અને નારાજગી અનુભવાઈ છે. તેણીએ ઇમેઇલ દ્વારા બાણગાંવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી.
બીજી બાજુ, આયોજક યુવક સંઘ ક્લબે આ આરોપોને નકારી કાઢ્યા. તેઓએ કહ્યું કે મીમી લગભગ એક કલાક મોડી આવી. તન્મય શાસ્ત્રી એ કહ્યું, “કાર્યક્રમને ફક્ત મધ્યરાત્રિ સુધી જ મંજૂરી આપવામાં આવી હતી. વિસ્તારના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ લઈ રહ્યા છે, તેથી કાર્યક્રમ વહેલો બંધ કરવો પડ્યો. અમે મીમીનું અપમાન કે હેરાનગતિ કરી નથી. તેના આરોપો સંપૂર્ણપણે ખોટા છે.” તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મીમીના બોડીગાર્ડ્સે ક્લબની મહિલા સભ્યો સાથે ગેરવર્તણૂક કરી, જેઓ રાત્રે ૧૧ઃ૪૫ વાગ્યે તેમનું સન્માન કરવા સ્ટેજ પર આવી હતી.
તન્મય શાસ્ત્રી એ આગળ કહ્યું, “અમે જાણીએ છીએ કે મીમી એક મોટી સ્ટાર છે, પરંતુ જા અમે મધ્યરાત્રિ ૧૨ વાગ્યા પછી કાર્યક્રમ ચાલુ રાખ્યો હોત, તો પોલીસે આવીને તેને અટકાવ્યો હોત અને અમારી સામે કેસ દાખલ કર્યો હોત.” જા મીમીને ગેરસમજ થઈ હોય અથવા નારાજગી થઈ હોય, તો અમે તેના માટે માફી માંગીએ છીએ.’ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
મિમી ચક્રવર્તી એક ભારતીય બંગાળી અભિનેત્રી, ગાયિકા અને ભૂતપૂર્વ રાજકારણી છે. તે મુખ્યત્વે ટોલીવુડ (બંગાળી ફિલ્મ ઉદ્યોગ) માં તેના કામ માટે જાણીતી છે. ૨૦૧૯ માં, તેણીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને (તૃણમૂલ કોંગ્રેસ) ની ટિકિટ પર જાદવપુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવી, પરંતુ સ્થાનિક નેતાઓ સાથેના મતભેદોને કારણે ૨૦૨૪ માં રાજીનામું આપ્યું.














































