રાજકોટમાં હોળી દહન વખતે જ વિખવાદની હોળી પ્રગટી છે. રાજકોટમાં હોળી દહન વખતે બે સમુદાયો વચ્ચે હોળી પ્રગટી છે. રાજકોટના ભગવતીપરામાં આવેલા ત્રિશૂલ ચોકમાં આ બનાવ બન્યો હતો. ભગવતીપરામાં હોલિકા દહન વખતે બે સમુદાયો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસ, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ડીસીપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આ બનાવમાં ત્રણ શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને સમાજના ટોચના આગેવાનોને વચ્ચે પાડીને વાત આગળ વધતી અટકાવી છે.
તેની સાથે પોલીસે આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે, જેથી હોલિકા દહન વખતે વિવાદોની હોળી પ્રગટાવવાની ઘટના દરમિયાન કેટલા લોકો વિવાદની ઘટનામાં સંડોવાયેલા હતા તેની ખબર પડે. આ સિવાય કેટલા લોકોએ ઉશ્કેરણી કરી હતી અને બિનજરૂરી બબાલ કરી હતી, તેનો પણ ખ્યાલ આવી જાય.
જાહેર કાર્યક્રમોમાં આ પ્રકારની ઘટના બનવાના કારણે આગામી દિવસોમાં જાહેર કાર્યક્રમો યોજવાને લઈને પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એસઓપી પણ જાહેર કરવામાં આવશે તો આશ્ચર્ય નહીં થાય. પોલીસને પણ લાગી રહ્યુ છે કે જયારે પણ હોલિકા દહન જેવો કોઈ જાહેર કાર્યક્રમ થાય ત્યારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર સામાન્ય લોકો અને પોલીસ બંનેએ અમલમાં મૂકવી પડશે. તેનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે, જેથી જાહેર કાર્યક્રમોમાં કોઈ બિનજરૂરી વિવાદ ન સર્જાય. તેની સાથે ઉશ્કેરણી કે વિવાદ સર્જનારા તત્વોને તાત્કાલિક જેર કરવાની કાર્યવાહી કરીને શાંતિનો ભંગ થતો અટકાવી શકાય.










































