તારાપુર ઔદ્યોગિક વિસ્તારમાં ભગેરિયા કેમિકલ્સમાં ઓલિયમ ગેસ લીકેજથી આસપાસના કામદારો અને નાગરિકો ગેસની અસરો અનુભવી રહ્યા છે. ઓલિયમ ગેસ, જ્યારે હવાના સંપર્કમાં આવે છે, ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને અન્ય સલ્ફર ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે સમગ્ર સંકુલમાં ફેલાઈ રહ્યા છે.એમઆઇડીસીના ડી ઝોનમાં આવેલા ભગેરિયા કેમિકલ્સમાં બપોરે ૨ થી ૨ઃ૧૫ વાગ્યાની વચ્ચે લીકેજ શરૂ થયું હતું. પશ્ચિમથી પૂર્વ દિશામાં પવન સલ્ફર ડાયોક્સાઇડ અને અન્ય સલ્ફર ઓક્સાઇડ ફેલાવી શકે છે, જે નજીકના કામદારો અને નાગરિકોને અસર કરે છે.
સલ્ફર ડાયોક્સાઇડ આંખોમાં બળતરા, લાલાશ, શુષ્કતા અને ગળામાં દુખાવોનું કારણ બની શકે છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગેસની અસરો લગભગ એક થી દોઢ કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાઈ છે. ઘટનાસ્થળ પરથી વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો શેરીઓમાં દોડતા દેખાય છે. એક વીડિયોમાં, કેટલીક મહિલાઓ રસ્તા પર પડેલી જાવા મળે છે.
ઘટનાની માહિતી મળતાં, જિલ્લા મેજિસ્ટ્રેટ ડા. ઇન્દુ રાણી જાખરે ઇમરજન્સી કંટ્રોલ રૂમ, મહેસૂલ વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓને ચેતવણી આપી હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સબ-રિજનલ ઓફિસર રાજુ વસાવે ઘટનાસ્થળે પહોંચ્યા છે. કંપની પરિસરમાં મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે, અને કંપનીની નજીકથી પસાર થતો રસ્તો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમના ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઓલિયમ લીકેજને રોકવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. થોડા મહિના પહેલા,એમઆઇડીસીના શિવાજીનગર વિસ્તારમાં એક ટાંકીમાંથી સલ્ફ્યુરિક એસિડ અને ઓલિયમ લીકેજ થયું હતું, જેના કારણે આ વિસ્તાર પ્રભાવિત થયો હતો.
ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામકના અધિકારીઓએ પોલીસને પ્રાથમિક અંદાજ આપ્યો છે કે કંપનીમાંથી અંદાજે એક ટન ઓલિયમ લીકેજ થયું હશે. પવનની દિશાને કારણે, કેમલિન નાકા અને તાકી નાકા વચ્ચેના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોને ગંભીર અસર થઈ છે. ગેસ લીકેજથી કામદારોમાં ગભરાટ ફેલાયો છે અને સમગ્ર બોઇસર વિસ્તાર છવાઈ ગયો છે. તાકી નાકા નજીક સ્થિત તારાપુર વિદ્યા મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરે મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નજીકના અન્ય મથકોમાંથી કર્મચારીઓને બહાર કાઢવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.
પાલઘરના પોલીસ અધિક્ષક યતીશ દેશમુખ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તેમણે કહ્યું કે જરૂર પડ્યે વધુ નિર્ણય લેવામાં આવશે. પોલીસે કહ્યું કે ગેસ લીકેજથી કોઈને ગંભીર અસર થઈ હોવાના અહેવાલ નથી.










































