મહારાષ્ટ્ર ના પુણે જિલ્લામાં બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા.આ ઘટના ત્યારે બની જ્યારે પવારનું વિમાન પુણેના બારામતી વિસ્તારમાં ઉતરી રહ્યું હતું. ભારતે તેના ઇતિહાસમાં વિમાન કે હેલિકોપ્ટર અકસ્માતોમાં ઘણા અગ્રણી રાજકીય નેતાઓ ગુમાવ્યા છે.હવાઈ અકસ્માતોમાં જીવ ગુમાવનારા કેટલાક ટોચના નેતાઓ અને અગ્રણી વ્યકિતઓની યાદી અહીં છેઃ
સંજય ગાંધીઃ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું ૨૩ જૂન, ૧૯૮૦ ના રોજ દિલ્હીના સફદરજંગ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ પોતે વિમાન ઉડાડી રહ્યા હતા અને વિમાન કસતી વખતે કાબુ ગુમાવી દીધો. માત્ર ૩૩ વર્ષની ઉંમરે તેમના મૃત્યુથી સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાઈ ગઈ. સંજય ગાંધીને ઇન્દિરા ગાંધીના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા અને તેમણે યુવા કોંગ્રેસને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના મૃત્યુ પછી, તેમના મોટા ભાઈ રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા.
માધવરાવ સિંધિયાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગ્વાલિયર રાજવી પરિવારના વારસદાર, માધવરાવ સિંધિયાનું ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક ખાનગી સેસ્ના વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેઓ કાનપુરમાં એક રાજકીય રેલીમાં જઈ રહ્યા હતા ત્યારે વિમાનનો સંપર્ક તૂટી ગયો અને ક્રેશ થયું. ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયા, ઘણી વખત લોકસભા માટે ચૂંટાયા હતા અને ક્યારેય ચૂંટણી હાર્યા ન હતા. તેમના મૃત્યુથી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો. સિંધિયાના મૃત્યુ પછી, તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના પરિવારનો રાજકીય વારસો આગળ ધપાવ્યો.
જીએમસી બાલયોગીઃ લોકસભાના સ્પીકર અને તેલુગુ દેશમ પાર્ટીના અગ્રણી નેતા જીએમસી બાલયોગીનું ૩ માર્ચ, ૨૦૦૨ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું. તેઓ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીક તળાવમાં ક્રેશ થયું.
સાયપ્રિયન સંગમાઃ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૦૪ ના રોજ, મેઘાલય ગ્રામીણ વિકાસ મંત્રી સાયપ્રિયન સંગમા અને અન્ય ૧૦ લોકો પવન હંસ હેલિકોપ્ટરમાં ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા. રાજ્યની રાજધાનીથી લગભગ ૨૦ કિલોમીટર દૂર બારપાની તળાવ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં મંત્રી અને અન્ય તમામ મુસાફરોના મોત થયા.
ઓ.પી. જિંદાલ અને સુરેન્દ્ર સિંહઃ ૩૧ માર્ચ, ૨૦૦૫ ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જાણીતા ઉદ્યોગપતિ અને તત્કાલીન હરિયાણાના ઉર્જા મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું મૃત્યુ થયું. દિલ્હીથી ચંદીગઢ જતું તેમનું હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં ક્રેશ થયું, જેમાં પાઇલટ સહિત અનેક લોકો માર્યા ગયા.
વાય.એસ. રાજશેખર રેડ્ડીઃ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીનું ૨ સપ્ટેમ્બર, ૨૦૦૯ ના રોજ ચિત્તૂર જિલ્લામાં બેલ ૪૩૦ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર જંગલમાં ક્રેશ થયું હતું. રેડ્ડીનો મૃતદેહ અકસ્માતના ૨૭ કલાક પછી મળી આવ્યો હતો. તેઓ કોંગ્રેસના લોકપ્રિય નેતા હતા જેમણે ખેડૂતો, ગરીબો અને લઘુમતીઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી.
દોરજે ખાંડુઃ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજે ખાંડુનું ૩૦ એપ્રિલ, ૨૦૧૧ ના રોજ પવન હંસ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેઓ તવાંગથી ઇટાનગર પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર ચીન સરહદ નજીક ક્રેશ થયું હતું. કોંગ્રેસના નેતાએ રાજ્યના વિકાસમાં યોગદાન આપ્યું હતું.
વિજય રૂપાણીઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીનું ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના દુર્ઘટનામાં અવસાન થયું હતું. વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. ત્યારબાદ વિમાન ક્રેશ થયું, જેમાં ૨૪૧ મુસાફરોના મોત થયા. આ દુર્ઘટનાથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું.










































