આસામ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક આજે સવારે યોજાઈ હતી. આઠ ભાજપના ધારાસભ્યોએ નેતા તરીકે હિમંત બિસ્વા સરમાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેપી નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેન્દ્રીય નિરીક્ષકો અને સહ-નિરીક્ષકો તરીકે હાજર રહ્યા હતા. મુખ્ય જાડાણ ભાગીદારો, આસોમ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટએ પણ સરમાના નામાંકનને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. તમામ પક્ષોની સર્વસંમતિ બાદ, તેમને સર્વસંમતિથી એનડીએ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.આ પછી, હિમંત બિસ્વા સરમા અને અન્ય વરિષ્ઠ એનડીએ નેતાઓએ લોકભવન ખાતે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મળ્યા. એનડીએ નેતાઓએ ઔપચારિક રીતે રાજ્યપાલને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ બેઠકમાં તેમણે સરકાર રચનાના આવશ્યક પાસાઓ પર ચર્ચા કરી.રાજયપાલે ૧૨મી મેના રોજ મુખ્યમંત્રી તરીકે સોગંદ લેવા માટેની તારીખ આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
હિમંત બિસ્વા શર્માએ ૬ મેના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. હાલમાં, તેઓ કાર્યકારી મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. હવે, નવી સરકારની રચના સાથે, તેઓ સતત બીજા કાર્યકાળ માટે રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. ભાજપે ૧૨૬ સભ્યોની આસામ વિધાનસભામાં ૮૨ બેઠકો જીતીને પોતાની તાકાત સાબિત કરી છે, જ્યારે તેના સાથી પક્ષો, આસોમ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટએ ૧૦-૧૦ બેઠકો મેળવી છે. કુલ ૧૦૨ બેઠકો સાથે, ગઠબંધને બે તૃતીયાંશ બહુમતી મેળવી છે.
હિમંત બિસ્વા શર્માએ ૧૯૯૦ ના દાયકામાં ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયનના સક્રિય નેતા તરીકે પોતાને સ્થાપિત કર્યા અને બાદમાં કોંગ્રેસ સાથે મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશ કર્યો. ૨૦૦૧ માં જલુકબારી મતવિસ્તારમાંથી પહેલીવાર ધારાસભ્ય બન્યા પછી, તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના સૌથી વિશ્વસનીય લેફ્ટનન્ટ અને સરકારના “મુશ્કેલીનિવારક” તરીકે ઉભરી આવ્યા. આરોગ્ય અને શિક્ષણ જેવા મુખ્ય વિભાગો સંભાળીને, તેમણે પોતાની વહીવટી કુશળતા દર્શાવી. જા કે, ૨૦૧૫ માં, કોંગ્રેસ નેતૃત્વ, ખાસ કરીને રાહુલ ગાંધી સાથેના મતભેદોને કારણે, તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જાડાયા.
ભાજપમાં જાડાયા પછી, શર્માને નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારબાદ તેમણે ભાજપ અને તેના સાથી પક્ષોને આસામ, મણિપુર, ત્રિપુરા અને મેઘાલયમાં સરકાર બનાવવામાં મદદ કરવામાં “ચાણક્ય” ભૂમિકા ભજવી. તેમણે ૨૦૧૬ માં આસામમાં ભાજપની પ્રથમ સરકારની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી અને સર્બાનંદ સોનોવાલ સરકારમાં સૌથી શક્તિશાળી મંત્રી હતા. આખરે, ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચંડ વિજય પછી, તેમના રાજકીય કદને ઓળખીને, તેમને આસામના ૧૫મા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.










































