પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીની વિનાશક હાર બાદ, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી હવે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મુસ્લીમોને એકત્ર કરવાનું કામ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલ પ્રમુખ ઇસરાર અહેમદે રાજ્યમાં મુસ્લીમોની દુર્દશા અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે.
એઆઇએમઆઇએમ નેતા ઇસરાર અહેમદે મુખ્યમંત્રી યોગી અને અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા છે, જેમાં મુસ્લીમોના અસ્તીત્વ માટે ખતરો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં મુસ્લીમો પર સતત અત્યાચાર થઈ રહ્યા છે, કબ્રસ્તાનો ખોદવામાં આવી રહ્યા છે, મદરેસા અને મસજીદો તોડી પાડવામાં આવી રહી છે, છતાં સપાના વડા મૌન છે.
ઇસરાર અહેમદે ઉત્તર પ્રદેશ વન ડિસ્ટ્રીક્ટ વન ભોજન યાદી અંગે યોગી આદિત્યનાથ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું, અને કહ્યું હતું કે સરકારે આ યાદીમાં એક પણ માંસાહારી ખાદ્ય પદાર્થનો સમાવેશ કર્યો નથી ઓડીઓસી યાદીમાંથી માંસાહારી ખોરાક દૂર કરવામાં આવ્યો છે, અને મુસ્લીમ પ્રાર્થનાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યોગી સરકાર ઉત્તર પ્રદેશમાં મુસ્લીમોને હેરાન કરી રહી છે, જ્યારે અખિલેશ યાદવ મૌન છે.
એઆઇએમઆઇએમ નેતાના આ નિવેદનને આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને,એઆઇએમઆઇએમ રાજ્યમાં મુસ્લીમોને સક્રિય રીતે એકત્ર કરી રહ્યું છે. પાર્ટીએ સતત સમાજવાદી પાર્ટીના વડા પર મુસ્લીમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. એઆઇએમઆઇએમએ વારંવાર કહ્યું છે કે સમાજવાદી પાર્ટી ચૂંટણી જીતવા માટે મુસ્લીમ મતો મેળવે છે, પરંતુ સપા વડા મુસ્લીમોને લગતા મુદ્દાઓ પર મૌન રહે છે.
એ નોંધવું જોઈએ કે એઆઇએમઆઇએમ એ યુપી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટી એવી બેઠકો પર નજર રાખી રહી છે જ્યાં મુસ્લીમ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સમાજવાદી પાર્ટીએ અગાઉ આ બેઠકો પર મજબૂત સ્થાન મેળવ્યું છે.










































