કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રેલડી ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલા ઓવરબ્રિજ પ્રોજેક્ટને લઈને આજે ભારે વિવાદ સર્જાયો હતો. જમીન સંપાદન અને ખેતીલાયક જમીનના નુકસાનના મુદ્દે સ્થાનિક ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જાવા મળ્યો હતો.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત ઓવરબ્રિજના કારણે આશરે ૧૯ જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીન પ્રોજેક્ટ હેઠળ આવવાની છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરતું વળતર અને વૈકલ્પીક વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કર્યા વિના જ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.ખેડૂતોનું કહેવું છે કે આ જમીન તેમના પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન છે અને જમીન ગુમાવવાથી તેમના જીવન પર સીધી અસર પડશે.
પ્રોજેક્ટ માટે હિટાચી અને જેસીબી મશીનો સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે સ્થળ પર એકત્ર થયેલા ખેડૂતો દ્વારા કામ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિરોધ વધુ ઉગ્ર બનતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી, ધક્કામુક્કી અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો આક્ષેપ કરીને અનેક વિરોધી ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સુરક્ષા વચ્ચે ઓવરબ્રિજ પ્રોજેક્ટની પ્રાથમિક કામગીરી આગળ વધારવામાં આવી હતી.
જમીન કપાતથી પ્રભાવિત ૧૯ જેટલા ખેડૂત પરિવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે વિકાસના નામે ખેડૂતોના હકોનું હનન ન થવું જોઈએ.તેમણે ચેતવણી આપી છે કે જા યોગ્ય વળતર, પુનર્વસન અને ખેડૂતોની માંગણીઓ અંગે સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
રેલડી ગામનો આ વિવાદ ફરી એકવાર વિકાસ પ્રોજેક્ટ અને ખેડૂતોની આજીવિકા વચ્ચેના સંતુલન અંગે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે સરકાર અને એજન્સીઓ પ્રયત્નશીલ છે, તો બીજી તરફ પોતાની જમીન બચાવવા ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે.હાલ સમગ્ર મામલે સ્થાનિક વહીવટી તંત્ર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.