ભારતે ફરી એકવાર મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. મનીલામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આ ક્ષેત્રમાં દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોના સંગઠનની કેન્દ્રીય ભૂમિકાને માન્યતા આપવી એ ભારતની પ્રાથમિકતાઓમાંની એક છે.
જયશંકર ઉપરાંત, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગીએ બેઠકમાં હાજરી આપી હતી. અગાઉની ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક મેના અંતમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી, જ્યાં માર્કો રુબિયો મહેમાન હતા.
વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર કહ્યું, “મનીલામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવાનો આનંદ છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થિતિની સમીક્ષા કરી અને તાજેતરના વિકાસ પર ચર્ચા કરી. નવી દિલ્હીમાં તાજેતરની બેઠકના પરિણામો પર ફોલોઅપ કર્યું.” તેમણે વધુમાં કહ્યું, “અમે મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે પ્રતિબદ્ધ છીએ અને આ ક્ષેત્રમાં છજીઈછદ્ગ ની કેન્દ્રીય ભૂમિકાને સ્વીકારીએ છીએ.”
ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓ આસિયાન-સંબંધિત બેઠકોમાં ભાગ લેવા માટે ફિલિપાઇન્સની રાજધાની મનીલા પહોંચ્યા છે. આસિયાન (દક્ષિણપૂર્વ એશિયન રાષ્ટ્રોનું સંગઠન) આ ક્ષેત્રના સૌથી પ્રભાવશાળી જૂથોમાંનું એક માનવામાં આવે છે. ભારત, યુનાઇટેડ સ્ટેટ્‌સ, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશો સાથે, તેના સંવાદ ભાગીદારો છે.
સંયુક્ત પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને આસિયાનની એકતા અને તેની કેન્દ્રીય ભૂમિકા માટે “અતૂટ સમર્થન” વ્યક્ત કર્યું. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સહયોગ વધારવાની આ પ્રતિજ્ઞા એવા સમયે આવી છે જ્યારે આ ક્ષેત્રમાં ચીનની વધતી જતી લશ્કરી પ્રવૃત્તિ એક ગરમાગરમ વિષય છે.
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે આ ક્ષેત્રની સફળતા અને આસિયાન અને તેના સભ્ય દેશો સાથે સહયોગ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.” વિદેશ મંત્રીઓએ પ્રાદેશિક પડકારો અને તકો પર પણ ચર્ચા કરી. તેમણે ઈન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુકના વ્યવહારિક અમલીકરણને સમર્થન આપવાના પગલાં પર પણ વિચારણા કરી.