ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક ક્લાસ-વન સરકારી અધિકારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સી-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના કારણે માનસિક તણાવ અનુભવાતો હોવાનો ઉલ્લેખ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી તાજેતરમાં જ આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે બદલી પામ્યા હતા. તેઓ છેલ્લા એક મહિનાથી ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાના સમયે તેમની પત્ની સુરત ખાતે હોવાથી અધિકારી ઘરે એકલા હતા. સવારે તેમનો મૃતદેહ ઘરની બાલ્કનીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો. ઘટનાની જાણ મકાન માલિકે પોલીસને કરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં આર્થિક મુશ્કેલીઓ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના કારણે માનસિક દબાણ અનુભવાતું હોવાનો ઉલ્લેખ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જોકે, પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને સત્તાવાર રીતે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતક મૂળ અમરેલી જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી છે. યુવા સરકારી અધિકારીના અકાળ અવસાનથી પરિવાર, સહકર્મચારીઓ અને પરિચિતોમાં શોકનો માહોલ છવાયો છે.







































