પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં લશ્કરી દમન સામે ચાલી રહેલા જાહેર આંદોલનમાં ૧૦-૧૨ વર્ષના શાળાના બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી છે. વિરોધીઓ ખુલ્લેઆમ સ્વતંત્રતા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પાકિસ્તાન સરકારની કડક નિંદા કરી રહ્યા છે.
છેલ્લા ૧૧ દિવસથી રાવલકોટના ઈદગાહ મેદાનમાં ૭૦,૦૦૦ થી વધુ વિરોધીઓ ધરણા કરી રહ્યા છે. દરમિયાન, સુધાનોટી જિલ્લાના તરાર ખેલ ખાતે, નાના સ્કૂલના બાળકો જાહેર ચોકમાં ભેગા થયા હતા અને સ્વતંત્રતાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. સેંકડો મહિલાઓએ મંડોલમાં કૂચ કરી હતી, જેમાં પાકિસ્તાની સરકાર અને સેનાને ગેરકાયદેસર કબજેદાર ગણાવી હતી. રાવલકોટમાં વિરોધ કરી રહેલા બાળકોએ “સેના, બહાર નીકળો” જેવા નારા લખેલા પ્લેકાર્ડ પકડી રાખ્યા હતા.
આંદોલનનું નેતૃત્વ કરી રહેલી આવામી એક્શન કમિટીએ પાકિસ્તાન સરકારને તેની ૩૮-મુદ્દાની માંગણીઓનો ચાર્ટર સ્વીકારવા માટે ૨૩ જૂન સુધીમાં અલ્ટીમેટમ આપ્યું છે. ઈદગાહ મેદાનમાં હજારો લોકોની ભીડને સંબોધતા, સંગઠનના નેતા સરદાર અમાન ખાને એક તીક્ષ્ણ અને ભાવનાત્મક ભાષણ આપ્યું. તેમણે પાકિસ્તાની સેનાને સીધી ચેતવણી આપી હતી કે જા તે તેનું દમન ચાલુ રાખશે, તો સમગ્ર લશ્કરી માળખું પીઓકેમાંથી હાંકી કાઢવામાં આવશે.
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘન અને વિરોધીઓ સામે બળપ્રયોગનો વિરોધ કરવા માટે હજારો બ્રિટિશ કાશ્મીરીઓ લંડનમાં બ્રિટિશ સંસદની બહાર એકઠા થયા હતા. નાગરિકોના મૃત્યુ, ઇજાઓ અને મહિલાઓના કથિત દુર્વ્યવહાર પર ચિંતા વ્યક્ત કરતા, વિરોધીઓએ આંતરરાષ્ટ્રીય તપાસ અને જવાબદારીની માંગ કરી. તેમણે કહ્યું કે પ્રદેશના લોકો લાંબા સમયથી આર્થિક રાહત, સસ્તી વીજળી, સારા શાસન અને મૂળભૂત અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે.








































