ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરેફે દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનનું છે. તેમણે કહ્યું કે ઈરાનનો આ વ્યૂહાત્મક જળમાર્ગ પર અધિકાર છે અને હવે મામલો સમાપ્ત થઈ ગયો છે. ઈરાનની ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાનની નીતિઓ પહેલા પ્રતિબંધો અને બાહ્ય દબાણથી પ્રભાવિત હતી, પરંતુ તેમણે કહ્યું કે ભવિષ્યની યોજનાઓ ઈરાન અને વ્યાપક ક્ષેત્ર બંનેની સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત હોવી જોઈએ.
ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંયુક્ત આરબ અમીરાતની ગુપ્ત મુલાકાત લીધી હતી. અહેવાલો અનુસાર, ઓપરેશન “ધ રોર ઓફ ધ લાયન” દરમિયાન, નેતન્યાહૂએ યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી હતી. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે આ મુલાકાતના પરિણામે ઇઝરાયલ અને યુએઈ વચ્ચેના સંબંધોમાં “ઐતિહાસિક સફળતા” મળી હતી, જોકે ચર્ચાઓ વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
તેહરાનથી મળેલા અહેવાલો અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંભવિત સમાધાન અંગે અનિશ્ચિતતા વચ્ચે ઈરાન સંયુક્ત રાષ્ટ્રમાં ચીન દ્વારા પોતાનો પ્રભાવ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ટ્રમ્પની બેઇજિંગ મુલાકાત દ્વિપક્ષીય બાબત છે અને ઈરાન માટે ચિંતાનો વિષય નથી. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે ચીન સાથે સતત જોડાણ તેની વ્યૂહાત્મક ભાગીદારીનો એક ભાગ છે. ઈરાન યુએન સુરક્ષા પરિષદમાં ચીનના પ્રભાવ પર આધાર રાખે છે અને યુએસ સાથે ભવિષ્યના કોઈપણ કરારના વ્યવહારિક અમલીકરણ માટે નક્કર ગેરંટી ઇચ્છે છે.
ઈરાનના આઇઆરઆઇબી મુજબ, તેહરાનમાં યુદ્ધથી નુકસાન પામેલા ૮૦% સ્થળોનું સમારકામ કરવામાં આવ્યું છે. ડેપ્યુટી ગવર્નર સૈયદ કમાલુદ્દીન મિર્ઝાફરિયનએ જણાવ્યું હતું કે યુએસ-ઇઝરાયલી હુમલા દરમિયાન તેહરાન પ્રાંતમાં આશરે ૬૦,૦૦૦ રહેણાંક અને વાણિજ્યિક એકમોને નુકસાન થયું હતું. અંદાજ દર્શાવે છે કે પુલ, બંદરો, રેલ્વે, યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો, પાવર પ્લાન્ટ્સ, ડિસેલિનેશન સુવિધાઓ, હોસ્પિટલો, શાળાઓ અને નાગરિક ઘરોને નુકસાન સહિત કુલ નુકસાન આશરે ઇં૨૭૦ બિલિયન જેટલું છે.










































