આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ પર સંસદ ભવનના મકર દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે એક પ્લેકાર્ડ પકડી રાખ્યું હતું જેના પર લખ્યું હતું, “ઝેરી હવા, સરકાર ગાયબ.” ચંદ્રશેખર આઝાદે કહ્યું કે દિલ્હીની હવા એટલી ઝેરી બની ગઈ છે કે લોકો અજાણતાં દિવસમાં ૬ થી ૭ સિગારેટ પી રહ્યા છે, ભલે તેઓ ધૂમ્રપાન ન કરતા હોય.
તેમણે કહ્યું, “શહીદ-એ-આઝમ ભગતસિંહે કહ્યું હતું કે બહેરાઓને સાંભળવા માટે વિસ્ફોટની જરૂર છે. આજે પરિસ્થીતિ એવી જ છે. સંસદમાં આ મુદ્દા પર કોણ બોલશે?” તેમણે ઉમેર્યું કે તેમણે પ્રદૂષણના મુદ્દા પર સ્થગિત પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો, પરંતુ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. ચંદ્રશેખરે કહ્યું કે જો સરકાર સાંભળશે નહીં, તો આવા વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. જો સરકારે કાર્યવાહી કરી હોત, તો લોકોને સ્વચ્છ હવા માટે પૈસા ચૂકવવા ન પડત.
ચંદ્રશેખરે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર બંને પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે દિલ્હીમાં સરકાર એક વર્ષથી સત્તામાં છે, પરંતુ પ્રદૂષણ ઘટાડવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. “દિલ્હીમાં એકયુઆઇ ૪૫૦ થી ઉપર છે. નોઈડા અને ફરીદાબાદમાં પણ પરિસ્થીતિ ખરાબ છે. આનો જવાબ કોણ આપશે?”
તેમણે કહ્યું કે જનતા કર ચૂકવે છે, પરંતુ તેમને સ્વચ્છ હવા અને પાણી પણ મળતું નથી. “હું મારા ઘરમાં એર પ્યુરિફાયર લગાવી શકું છું, પણ શું બધાને તે પરવડી શકે છે? ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો શું કરશે?”
ચંદ્રશેખરે પ્રશ્ન કર્યો કે પ્રદૂષણનું સંકટ દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં આવે છે, છતાં સરકારો ફેરફારો કેમ નથી કરતી? “આ રાજકારણનો પ્રશ્ન નથી, જીવનનો પ્રશ્ન છે. તે બાળકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. એક સાંસદ અને એક જવાબદાર નાગરિક તરીકે, હું આ મુદ્દો ઉઠાવી રહ્યો છું.” વિરોધ પ્રદર્શન દરમિયાન, તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર પગલાં નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.








































