ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા આંતરરાષ્ટ્રીય તણાવ અને વૈશ્વિક પરિસ્થિતિની અસર હવે ગુજરાતમાં પણ દેખાવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે જા ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય નહીં બને તો રાજ્યમાં લગભગ ૧૨ લાખ ટ્રકોના પૈડા થંભી શકે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત સૌથી વધુ જાવા મળી રહી છે. હાઈવે પર આવેલા અનેક પેટ્રોલ પંપો પર “ડીઝલ ઉપલબ્ધ નથી” જેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. ટ્રકચાલકોને ડીઝલ મેળવવા માટે એક પંપથી બીજા પંપ સુધી ભટકવું પડી રહ્યું છે.ઘણા પેટ્રોલ પંપો પર મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવતું હોવાથી લાંબા અંતરના વાહનચાલકો માટે વધુ મુશ્કેલી ઉભી થઈ રહી છે. પરિણામે માલસામાનની હેરફેર અને સમયસર ડિલિવરી પ્રભાવિત થઈ રહી છે.
ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પહેલાથી જ મંદીના માહોલનો સામનો કરી રહ્યો હતો. હવે ડીઝલની અછતને કારણે પરિસ્થિતિ વધુ કફોડી બની ગઈ છે. ટ્રાન્સપોર્ટ એસોસિયેશનોનું કહેવું છે કે આ સ્થિતિ લાંબી ચાલશે તો લાખો લોકોની રોજીરોટી પર સીધી અસર પડશે.અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને ઇંધણની અછત દૂર કરવા તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. એસોસિયેશનનું કહેવું છે કે ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી લઈને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
ડીઝલના વધતા ભાવ અને પુરવઠાની અછતને કારણે ખાનગી ટ્રાવેલ્સ બસ ઓપરેટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક સંચાલકોએ બસોના રૂટમાં ઘટાડો કર્યો છે. માહિતી અનુસાર ખાનગી બસોના સંચાલનમાં આશરે ૩૦ ટકા ઘટાડો થયો છે.અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય રૂટો પર બસોની સંખ્યા ઘટી ગઈ છે. ઉપરાંત સૌરાષ્ટ્રથી મુંબઈ, દિલ્હી અને મધ્યપ્રદેશ તરફ જતી બસ સેવાઓમાં પણ ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
એક તરફ સરકાર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે પાંચ દિવસમાં માત્ર એક જ ટેન્કર મળે છે. અપૂરતા જથ્થાને કારણે વાહનચાલકોને મર્યાદિત ઇંધણ આપવામાં આવી રહ્યું છે.અછતના ડરથી ઘણા લોકો વાહનોની ટાંકી ફુલ કરાવવા આગ્રહ રાખતા હોવાથી પેટ્રોલ પંપો પર લાંબી કતારો અને રકઝકના દ્રશ્યો પણ જાવા મળી રહ્યા છે.
રાજ્ય સરકારે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. સરકારનું કહેવું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો સુચારૂ રાખવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જાકે, જમીનસ્તરે હજુ પણ અનેક વિસ્તારોમાં લોકો ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે.











































