જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલોના ભાવમાં પણ સતત વધારો જાવા મળી રહ્યો છે. રાજકોટના તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે.
બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના ડબ્બામાં આજે વધુ રૂ.૧૦નો વધારો થતાં ભાવ રૂ.૨૮૦૦ સુધી પહોંચી ગયો છે. સાથે જ અન્ય ખાદ્યતેલોમાં પણ તેજીનો માહોલ જાવા મળી રહ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ.૨૬૬૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલમાં પણ સતત વધારો ચાલુ રહેતાં તેના ભાવ રૂ.૨૪૧૫ની આસપાસ પહોંચ્યા છે.
આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને યુધ્ધ વિસ્તારમાં વધેલા તણાવ અને દરિયાઈ માર્ગોમાં આવેલી મુશ્કેલીઓના કારણે આયાતી માલની અવરજવર પ્રભાવિત થઈ રહી છે. પરિણામે કાચા માલની અછત સર્જાતાં સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર દેખાઈ રહી છે.
અત્યાર સુધી દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી બજાર સ્થિર રહ્યું હતું, પરંતુ હવે આયાત પર વધતી અસરને કારણે સ્વદેશી ખાદ્યતેલોમાં પણ ભાવવધારો અનિવાર્ય બન્યો છે. આગામી દિવસોમાં જા વૈશ્વિક સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાદ્યતેલોના ભાવ હજુ વધુ ઊંચા જઈ શકે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ખાદ્યતેલોના વધતા ભાવોથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર સીધી અસર પડી રહી છે.