ગુરૂવારના દિવસે કોડીનારની સરકારી લાઈબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રારંભમાં વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું, જેનું વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક અને પુષ્પો દ્વારા ભાવપૂર્વક પૂજન કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ‘પુસ્તક મારો સાચો મિત્ર’ અને ‘મોબાઈલ ત્યાગો, પુસ્તકો અપનાવો’ જેવા વિષયો પર પ્રભાવશાળી વક્તવ્યો આપી પુસ્તકાલયનું મહત્વ સમજાવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મદદનીશ ગ્રંથપાલ એ.કે. નકુમ તથા પરમાર ગોપાલભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.