બિહાર પોલીસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શકીલ અહેમદના પટના નિવાસસ્થાનની બહાર સુરક્ષા કડક કરી છે. શકીલ અહેમદે કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વ પર પટના અને મધુબનીમાં તેમના નિવાસસ્થાન પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં, શકીલ અહેમદે દાવો કર્યો હતો કે કોંગ્રેસના કેટલાક સાથીદારોએ તેમને “ગુપ્ત રીતે” જાણ કરી હતી કે ૨૭ જાન્યુઆરીએ પટના અને મધુબનીમાં તેમના ઘરો પર હુમલો થઈ શકે છે. તેમણે કથિત ષડયંત્રના પુરાવા તરીકે કેટલાક વોટ્સએપ સંદેશાઓના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા.
શકીલ અહેમદે કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વ, ખાસ કરીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં ટોચનું નેતૃત્વ હવે ફક્ત રાહુલ ગાંધી સુધી મર્યાદિત છે, અને તેમનો પક્ષ પર સંપૂર્ણ નિયંત્રણ છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સનો ઉલ્લેખ કરતા, શકીલ અહેમદે કહ્યું, “મેં લખ્યું છે કે કોંગ્રેસના કેટલાક સાથીદારોએ મને ગુપ્ત રીતે જાણ કરી હતી કે કાલે મધુબની અને પટનામાં મારા ઘરો પર હુમલો થઈ શકે છે.” તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી વિરુદ્ધના તેમના નિવેદનો પછી આ કથિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતા, શકીલ અહેમદે કહ્યું કે ઘણા ભાજપના નેતાઓ દરરોજ રાહુલ ગાંધી વિરુદ્ધ નિવેદનો આપે છે, પરંતુ કોંગ્રેસ નેતૃત્વ તેમની સામે કોઈ કાર્યવાહી કરતું નથી.
શકીલ અહેમદે કહ્યું, “અમિત શાહ રાહુલ ગાંધી વિરુદ્ધ રોજ નિવેદનો આપે છે. તેમની સામે કાર્યવાહી કેમ નથી થતી? હું હવે કોંગ્રેસમાં પણ નથી.” કોંગ્રેસ સાથેના પોતાના સંબંધો સ્પષ્ટ કરતા શકીલ અહેમદે કહ્યું કે તેઓ કોંગ્રેસના દુશ્મન નથી, પરંતુ શુભેચ્છક છે. તેમણે દાવો કર્યો કે તેમણે કોઈ અન્ય પક્ષમાં ન જાડાવાનું વચન આપ્યું છે અને તેમનો અંતિમ મત કોંગ્રેસને જશે. ત્યારથી કોંગ્રેસ છોડી ચૂકેલા શકીલ અહેમદે રાહુલ ગાંધી પર વરિષ્ઠ નેતાઓની અવગણના કરવાનો અને પાર્ટીની અંદર આંતરિક લોકશાહીને નબળી પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ યુવા કોંગ્રેસ અને રાષ્ટીય વિદ્યાર્થી સંઘને એક કરવાની રણનીતિ બનાવી છે જેથી વરિષ્ઠ અને સ્થાપિત નેતાઓને પાર્ટીમાંથી બહાર કરી શકાય.
શકીલ અહેમદે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇને પ્રોત્સાહન આપી રહ્યા છે જેથી વરિષ્ઠ નેતાઓને તેમની પ્રશંસા કરનારાઓને સ્થાને રાખી શકાય. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી લોકપ્રિય અને અનુભવી નેતાઓ સાથે કામ કરવામાં અસ્વસ્થતા અનુભવે છે અને નેહરુ-ગાંધી પરિવાર સાથેના તેમના જાડાણને કારણે તેઓ શ્રેષ્ઠતાની ભાવના ધરાવે છે. શકીલ અહેમદના નિવાસસ્થાનની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.











































