ઈરાને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા છે, સ્પષ્ટતા કરી છે કે આગામી દિવસોમાં કોઈપણ સ્તરે અમેરિકા સાથે કોઈ વાટાઘાટો સુનિશ્ચિત નથી. ઈરાનના વિદેશ મંત્રાલયે એવા અહેવાલોને ફગાવી દીધા છે કે ઈરાની પ્રતિનિધિમંડળની કતારની રાજધાની દોહાની મુલાકાત અમેરિકન અધિકારીઓ સાથે વાતચીત માટે હતી. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “આગામી દિવસોમાં અમેરિકી પક્ષ સાથે કોઈપણ સ્તરે અમારી કોઈ વાતચીતનું આયોજન નથી.”
પ્રવક્તાએ કહ્યું, “અમેરિકી પ્રતિનિધિમંડળની કતારની મુલાકાતનો ઈરાની પ્રતિનિધિમંડળની મુલાકાત સાથે કોઈ સંબંધ નથી. અમારું પ્રતિનિધિમંડળ એમઓયુની જાગવાઈઓની સમીક્ષા કરવા અને અમલીકરણને આગળ વધારવા માટે કતાર જઈ રહ્યું છે, ખાસ કરીને કલમ ૧૧.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વ્યાપક અને અંતિમ કરાર માટે વાટાઘાટો હજુ શરૂ થઈ નથી. તેમણે કહ્યું, “અમે હજુ સુધી અંતિમ કરાર માટે ઔપચારિક વાટાઘાટોના તબક્કામાં પ્રવેશ કર્યો નથી.”
બાઘાઈએ જણાવ્યું હતું કે ૧૪-મુદ્દાના એમઓયુના કલમ ૧૩ મુજબ, અંતિમ કરાર પર વાટાઘાટો ફક્ત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે કલમ ૧, ૪, ૫, ૧૦ અને ૧૧ માં નિર્ધારિત પગલાંનો અમલ શરૂ થઈ જાય અને ચાલુ રહે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બધી જાગવાઈઓ બંને પક્ષો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી છે, અને તેમના અમલીકરણ પછી જ અંતિમ કરાર પર ઔપચારિક વાટાઘાટો શરૂ થઈ શકે છે.
બાઘાઈએ સમજાવ્યું હતું કે કલમ ૧૧ હેઠળ, યુ.એસ.એ પરસ્પર સંમત પ્રક્રિયા અનુસાર ઈરાનની સ્થિર અથવા પ્રતિબંધિત સંપત્તિઓ અને ભંડોળ ઉપલબ્ધ કરાવવું જાઈએ. આ માટે જરૂરી લાઇસન્સ અને અન્ય પરવાનગીઓ જારી કરવાની પણ જરૂર પડશે જેથી ઈરાન તેના ભંડોળનો ઉપયોગ કરી શકે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે કલમ ૧૩ મુજબ, આ પાંચ મુખ્ય જાગવાઈઓનો અમલ પહેલા શરૂ થવો જાઈએ અને ચાલુ રાખવો જાઈએ. તે પછી જ અંતિમ કરાર પર વાટાઘાટો આગળ વધી શકે છે.
યુ.એસ.એ વાટાઘાટોનો દાવો કર્યો હતો. દરમિયાન, વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનર મંગળવારે ઈરાન સાથે વાતચીત કરવા માટે દોહા જશે. હોર્મુઝ સ્ટ્રેટમાં બંને પક્ષો વચ્ચે તાજેતરના તણાવ અને લશ્કરી ગતિવિધિઓ બાદ આ પહેલ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આ બેઠક ઈરાનની વિનંતી પર યોજાઈ રહી છે.