અમરેલી શહેરમાં સૌથી વધુ અવરજવરવાળો કોઈ રસ્તો હોય તો તે જિલ્લા પંચાયત રોડ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાની બેદરકારીને કારણે આ માર્ગ પર ગટરના ગંધાતા પાણી ફરી વળતા હોવાથી આજુબાજુના વેપારીઓની સાથે રાહદારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી નગરપાલિકાની કામગીરી સામે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગુરુવારે જિલ્લા પંચાયત રોડ પર ગટરના ગંધાતા પાણી એવી રીતે ફરી વળ્યા કે ગટરના ગંધાતા પાણી આ માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડના દરવાજામાંથી પસાર થઈ છેક સામેના દરવાજા સુધી ફરી વળ્યા હતા જેથી જિલ્લા પંચાયત રોડ પરના વેપારીઓની સાથે માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે જિલ્લા પંચાયત રોડ પર જ જિલ્લા પંચાયત કચેરી આવેલી છે. આ માર્ગ પર જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી પણ આવેલી હોવાથી જિલ્લા વિકાસ અધિકારી પણ આ બાબતે કોઈપણ પ્રકારની કામગીરી કરતા ન હોવાથી શહેરીજનોમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી સામે આક્રોશ ફેલાયો છે. અમરેલી જિલ્લા પંચાયત રોડ પર ગટરના ગંધાતા પાણી ઘણીવાર સિવિલ હોસ્પિટલ સુધી પણ પહોંચી જતા હોવાની અનેક વાર ફરિયાદ કરવામાં આવી હતી પણ જાડી ચામડીના અધિકારીઓ અને મત માટે ઘુંટણીયાભેર થતા પદાધિકારીઓ આ બાબતે કોઈ નક્કર કામગીરી કરતા નથી જેના કારણે શહેરીજનોમાં ભારે રોષની લાગણી જન્મી છે. આથી શહેરીજનોની મુશ્કેલીને ધ્યાને લઈ તાત્કાલિક ગટરના પાણીનું યોગ્ય નિરાકરણ થાય અને લોકોને રાહત મળે તેવી માંગ કરવામાં આવી છે.










































