શહેરમાં વધુ એક નિર્મમ હત્યા થઈ છે. શહેરના જીવરાજપાર્ક બ્રિજ નીચે શનિવારે રાતે અંગત અદાવતમાં ચાર શખ્સોએ આધેડને થોડી જ સેકન્ડોમાં લાકડા અને પાઈપના અનેક ઘા માર્યા હતા. જે બાદ આ આધેડનું મોત થતા મારામારી હત્યામાં પરિણમી હતી. આ અંગત અદાવત મૃતકના દીકરાના લવ મેરેજની હોવાનું પણ સામે આવ્યું છે. આ મારામારીમાં ૫૨ વર્ષના મૃતક નટુભાઈ કલાભાઈ પરમારનું મોત નીપજ્યું છે. આનંદનગર પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. આ સાથે પરિવારોની પૂછપરછ બાદ વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૃતક નટુભાઈ કલાભાઈ પરમારના બે દીકરા પૈકી મોટા દીકરા કૌશિકે રાજીવનગરમાં રહેતા ઠાકોર સમાજની દીકરી સાથે આશરે ચારેક વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા. જેમાં બન્ને કુટુંબમાં પહેલા મનમેળ ન હતો. પરંતુ આમાં બે પરિવારો વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું. જેથી થોડા દિવસો પહેલા કૌશિકની પત્નીની તબિયત ખરાબ હોવાથી તે પોતાના પિયર આરામ કરવા ગઈ હતી. જ્યારે કૌશિક પત્નીને ત્યાં મળવા માટે ગયો તે સમય દરમિયાન કૌશિક અને તેના સાસરી પક્ષવાળા વચ્ચે કોઈ બાબતથી બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને કૌશિકના પિતા નટુભાઈ ઉપર આશરે પાંચથી છ વ્યક્તિઓએ જીવરાજ પાર્ક બ્રિજ નીચે જીવલેણ હુમલો કર્યો હતો. નટુભાઈ પોતાના કોઈ કામ અર્થે ત્યાં ઊભા હતાં ત્યારે તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રના સાસરિયાઓએ ૨૨ સેકન્ડમાં ૩૬ ફટકા માર્યા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
સમગ્ર ઘટનાને લઈને પીઆઇ, આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ, આર. એસ. પરમારે જણાવ્યું છે કે, “જીવરાજ બ્રિજ નીચે એક યુવકની હત્યાની ઘટના બની છે. તેને માથા પર લાકડા અને પાઇપના ઘા મારીને તેની હત્યા કરાઈ છે. ગઈકાલે (શનિવારે) મૃતક જ્યારે પાન પાર્લર પર સિગારેટ પીવા ગયા ત્યારે તેમના પર અચાનક હુમલો થયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક આનંદ નગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આનંદ નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.”