અમદાવાદમાં રિવરફ્રન્ટના બીજા તબક્કાના કામકાજના લીધે કેન્ટોન્મેન્ટ સ્મશાનના દરવાજા બંધ થશે. આમ સદરબજારના રહીશોએ જા સ્મશાન જવું હોય તો બે કિલોમીટર ફરીને જવુ પડશે. રિવરફ્રન્ટના કામકાજના લીધે ત્યાં દીવાલો બનાવી દેવામાં આવી છે. સ્મશાનમાં લાકડા-પાણી સહિતની સગવડોનો અભાવ છે. કેન્ટોન્મેન્ટ બોર્ડમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ અનેક રજૂઆત કરી પરંતુ હજી સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો બ્લોક થવાના લીધે લોકોને અંતિમ યાત્રા અને અન્ય ધાર્મિક વિધિઓ માટે લાંબુ ફરવું પડે છે અને તેના કારણે તેમની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. આના લીધે સદર બજારમાં વસતા લોકોને દૈનિક ધોરણે તકલીફોનો સામનો કરવો પડશે તેમ માનવામાં આવે છે.
આ તકલીફ હવે તેમના માટે કાયમી રહે તેવી સંભાવના છે. હવે તેમાથી તેમને રાહત આગામી વર્ષે સાબરમતી અચેર અને સદર બજારને જાડતો રબર કમ બેરેજ બ્રિજ બનશે તેના પછી મળે તેમ માનવામાં આવે છે. સાબરમતી નદી પર ગુજરાતના પ્રથમ રબર-કમ-બેરેજ-કમ-બ્રિજનું બાંધકામ ૩૬૭ કરોડના ખર્ચે શરૂ થયું છે. આ ૧૦૪૮.૦૮ મીટર લાંબો, છ-લેનનો આ પુલ સાબરમતી નદી પર પશ્ચિમમાં સાબરમતી આચર અને પૂર્વમાં કેમ્પ સદર બજાર વચ્ચે બનાવવામાં આવશે. પુલની બંને બાજુએ રિવરફ્રન્ટ રોડથી એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે, જે તેને મુખ્ય પુલ સાથે જાડશે. એકવાર પૂર્ણ થયા પછી, સાબરમતીથી કેમ્પ સદર બજાર થઈને એરપોર્ટ સુધી પહોંચવું સરળ બનશે. આ પ્રોજેક્ટ એપ્રિલ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ, નદીના બંને કાંઠે બેરેજ-કમ-બ્રિજ કનેકટીવિટી ચીમનભાઈ બ્રિજને બુલેટ ટ્રેન સ્ટેશન અને ટોરેન્ટ પાવર નજીક કલોલ તરફ જતા મુખ્ય રસ્તા સાથે જાડે છે. આ સ્થાન પર ટોરેન્ટ પાવરની ટીપી સ્કીમ નંબર ૨૩ ના છેલ્લા પ્લોટ નંબર ૮૭૨ અને ૬૧૩માંથી દસ હજાર ચોરસ મીટર જમીન સંપાદિત કરવાનો પ્રસ્તાવ છે.
કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ) ની બંને બાજુના રસ્તાઓને સાબરમતી ટોરેન્ટ પાવર સ્ટેશન રોડથી જાડતો એક પુલ બનાવવામાં આવશે. આનાથી પશ્ચિમ ક્ષેત્રમાં સાબરમતી, ચાંદખેડા અને મોટેરાથી હાંસોલ અને પૂર્વ ક્ષેત્રમાં એરપોર્ટ સાથે સીધો સંપર્ક સ્થાપિત થશે. આનાથી ટ્રાફિકની ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે.








































