દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારીયાને રૂ.૫૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે.
એસીબીને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદીના ખેતરમાંથી લગભગ ૧૫ દિવસ અગાઉ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તે સમયે ફરિયાદી ઘરે હાજર નહોતા. ત્યારબાદ ગામના સરપંચ રમેશભાઈ બારીયાએ ફરિયાદીનો સંપર્ક કરીને પોલીસમાં નોંધાયેલા કેસને પતાવી આપવાની ખાતરી આપી હતી. આ માટે તેમણે વચેટીયા તરીકે રૂ.૫૦ હજારની માંગણી કરી હતી.ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ એસીબીએ ટ્રેપનું આયોજન કર્યું હતું. આયોજન મુજબ દેવગઢબારીયા તાલુકા પંચાયત સામે તળાવ પાસે સમડી સર્કલ તરફ જતા માર્ગ પર આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.૫૦ હજારની લાંચ સ્વીકારી હતી.
લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ.૫૦ હજારની સંપૂર્ણ રકમ કબજે કરવામાં આવી છે. સમગ્ર મામલે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. એસીબીએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી કર્મચારી અથવા વચેટિયો કામના બદલામાં લાંચની માંગણી કરે તો તાત્કાલિક એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી.