ભારત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા ધરાવતો દેશ છે. આર્યાવર્ત તરીકે ઓળખાતો દેશ તેની સભ્યતા અને સંસ્કારિકતાના કારણે વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. ૧૪ મી સદીમાં અમેરિકા જંગલીયત અવસ્થામાં જીવતું હતું ત્યારે ભારતનો ચંદરવો ચોફેર ખીલેલો હતો આવું વાક્ય મેક્સમુલરે કહ્યું હતું. ભારત તેની આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકાણના કારણે મોટાભાગની શોધમાં ભારતનું પ્રદાન છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કલા શીખવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જે ધર્મ વિધવા અને ગરીબોના આંસુ લૂછતો નથી તેને હું ધર્મ માનતો નથી.જન સેવા એ જ પ્રભુ સેવાના આદર્શોએ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે.
ભારત પ્રાચીન કાળથી જ આધ્યાત્મિકતા, સંસ્કાર, નૈતિકતા અને માનવતાના મૂલ્યો માટે વિશ્વમાં પ્રસિધ્ધ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિને ‘દિવ્ય’ અને ‘ભવ્ય’ કહેવાનું કારણ એ છે કે તેમાં માત્ર જીવન જીવવાની રીત જ નહીં, પરંતુ જીવનને અર્થપૂર્ણ અને સુખમય બનાવવાની પ્રણાલિકા પણ સમાયેલ છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણએ કહ્યું છે ક‘વસુધૈવ કુટુમ્બકમ’, ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ અને ‘અહિંસા પરમો ધર્મઃ’ જેવાં સૂત્રો ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્વોને વ્યક્ત કરે છે.આજના આધુનિક અને ભૌતિકવાદી યુગમાં એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે શું આ દિવ્ય અને ભવ્ય
સંસ્કૃતિના આદર્શો ફરી સમાજમાં સ્થાપિત કરી શકાય?
ભારતીય સંસ્કૃતિનો આધાર સદીઓથી ધર્મ, કર્તવ્ય, નૈતિકતા અને સહ અસ્તિત્વના સિધ્ધાંતો પરરહેવા પામ્યો છે. પ્રાચીન સમયમાં સમાજની વ્યવસ્થા એવી હતી કે દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યને શ્રેષ્ઠ રીતે નભાવતી. ગુરુકુલ પ્રણાલીમાં શિક્ષણ માત્ર પુસ્તકના જ્ઞાન પૂરતું સીમિત નહોતું, પરંતુ સંસ્કાર, શિસ્ત, નૈતિકતા અને જીવન મૂલ્યોના પણ સંસ્કાર આપવામાં આવતા, પરિણામે વ્યક્તિ માત્ર વિદ્વાન જ નહીં, પરંતુ ઉત્તમ ચરિત્ર વાળો નાગરિક બનતો.સમયના વહેણ સાથે સમાજમાં અનેક પરિવર્તનો આવ્યાં. ઔદ્યોગિકરણ, પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ, ટેક્નોલોજીનો વધતો ઉપયોગ અને ભૌતિક સુખ – સાધનોની દોડને કારણે લોકો ધીમે ધીમે મૂળ મૂલ્યોને ભૂલતા ગયા. આજના યુગમાં પૈસા અને પ્રતિષ્ઠાને વધારે મહ¥વ આપવામાં આવે છે, જ્યારે સદાચાર, સત્ય અને કરુણાનાં મૂલ્યો પાછળ ધકેલાઈ ગયાં છે. પરિવારમાં પણ સંસ્કારનું શિક્ષણ ઓછું થતું જોવા મળે છે.તેમ છતાં, એવું માનવું યોગ્ય નથી કે ભારતીય
સંસ્કૃતિના આદર્શો ફરી સ્થાપિત થઈ ન શકે!ખરેખર જો સમાજમાં યોગ્ય પ્રયાસ કરવામાં આવે તો આ દિવ્ય પરંપરા ફરી જીવંત બની શકે છે. તેની શરૂઆત વ્યક્તિગત સ્તરેથી થવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સત્ય, અહિંસા, સહનશીલતા અને કરુણા જેવા ગુણોને સ્થાન આપવું જોઈએ.
ભારતીય પરિવાર પણ સંસ્કૃતિના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. માતા-પિતા જો બાળકોને બાળપણથી જ સારા સંસ્કાર આપે, વડીલોનો આદર કરવાનું શીખવે અને ભારતીય પરંપરાઓ વિશે સમજાવે, તો નવી પેઢી પણ આ મૂલ્યોને સ્વીકારશે. સંસ્કૃતિ માત્ર પુસ્તકોમાં નહીં પરંતુ જીવવાની બાબત છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ સંસ્કૃતિનાં મૂલ્યોને પ્રાથમિકતા આપવાની જરૂર છે. શાળાઓ અને મહા વિદ્યાલયોમાં માત્ર રોજગારલક્ષી શિક્ષણ પૂરતું નથી, પરંતુ નૈતિક શિક્ષણ, આધ્યાત્મિક વિચારધારા અને ભારતીય પરંપરાઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવવું જોઈએ. આ રીતે શિક્ષિત યુવાનો માત્ર બુધ્ધિશાળી જ નહીં પરંતુ સંસ્કારી નાગરિક બની શકે. આજે તો સારા ટકા આવે તે જ વિદ્યાર્થીઓ હોશિયાર માનવામાં આવે છે પરંતુ તેની અંદર જે જરૂરી મૂલ્યો છે તે ક્યાંથી આવશે?
આજના સમયમાં મીડિયા અને ટેક્નોલોજી પણ મહત્વપૂર્ણ સાધન બની શકે છે. જો ફિલ્મો, ટીવી કાર્યક્રમો અને સામાજિક માધ્યમો દ્વારા ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યોનો પ્રચાર કરવામાં આવે, તો તેનો સમાજ ઉપર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આધુનિક સાધનોનો ઉપયોગ કરીને પ્રાચીન મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાની જરૂર છે.ભારતીય સંસ્કૃતિનું એક મહત્વપૂર્ણ તત્વ સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવ છે. વિવિધ ધર્મો, ભાષાઓ અને પરંપરાઓ હોવા છતાં ભારતીય સમાજ સદીઓથી એકતામાં બંધાયેલો રહ્યો છે. આ એકતા અને સહ અસ્તિત્વની ભાવના જ ભારતને વિશ્વમાં અલગ પાડે છે. જો આપણે આ ભાવનાને ફરી મજબૂત બનાવી શકીએ, તો સમાજમાં શાંતિ અને સુખનું વાતાવરણ સર્જાઈ શકે.
રાષ્ટ્ર પ્રથમનો વિચારએ આપણી નૈતિક ફરજ છે. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં વ્યક્તિ, પરિવાર, શિક્ષણ અને સમાજ – આ ચાર સ્તરે જો સંકલિત પ્રયાસ કરવામાં આવે, તો ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરા ફરી જીવંત બની શકે છે. અર્થાત્ ભારતીય સંસ્કૃતિના આદર્શો અને પ્રણાલિકા સમાજમાં ફરી ઊભા કરી શકાય. આ માટે જરૂર છે, સંકલ્પ, સંસ્કાર અને સંયુક્ત પ્રયાસની…!જો આપણે આપણા મૂળ મૂલ્યોને ઓળખી અને જીવનમાં ઉતારી શકીએ, તો ભારત ફરીથી વિશ્વમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નેતૃત્વ કરી શકે છે. ભારત વિશ્વ ગુરુ છે અને રહેવાનું છે તેમાં કોઈ બે મત નથી. જે રાષ્ટ્ર પાસે ૧૪૦ કરોડથી વધારે વસ્તી હોય તેની આંતરિક શક્તિ પરમાણુ કરતા પણ વિશેષ જ હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી..