અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં ગર્ભવતી સિંહણના મોત બાદ વન વિભાગની કામગીરી અને મોનિટરિંગને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ સ્થાનિક ફોરેસ્ટર ચેતન ઘેવરિયાની બદલી કરવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલે વિભાગીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ધારી ગીર પૂર્વ ડિવિઝનની સરસિયા રેન્જના લુવારિયા-કૃષ્ણગઢ વિસ્તારમાં એક ગર્ભવતી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગર્ભમાં રહેલા બચ્ચાનું મૃત્યુ થતાં સિંહણ પણ ગંભીર સ્થિતિમાં પહોંચી હતી અને અંતે તેનું મોત થયું હતું.
આ ઘટનાને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે સિંહણ છેલ્લા બે દિવસથી એક જ વિસ્તારમાં બીમાર હાલતમાં હોવા છતાં વન વિભાગના કર્મચારીઓની નજરમાં કેમ ન આવી? સમયસર સારવાર અથવા રેસ્ક્યું કામગીરી કેમ હાથ ધરાઈ નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન સ્થાનિક સ્તરે પેટ્રોલિંગ અને મોનિટરિંગમાં બેદરકારી હોવાની બાબત સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે સંબંધિત ફોરેસ્ટરની બદલી કરવામાં આવી છે.
આ ઘટનાએ ધારી ગીર પૂર્વ ડિવિઝનની કામગીરી અંગે ફરી ચર્ચા જગાવી છે. અગાઉ પણ આ ડિવિઝન વિવિધ કારણોસર વિવાદોમાં રહ્યું છે. વન્યજીવ સંરક્ષણ અને સિંહોની સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્રની કામગીરી અંગે સ્થાનિક સ્તરે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગીર વિસ્તારમાં બીમાર અને ઘાયલ સિંહોની સારવાર માટે સતત કામગીરી ચાલી રહી છે. જસાધાર એનિમલ કેર સેન્ટર અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા અનેક સિંહોને સ્વસ્થ થયા બાદ ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે.
હાલમાં વન વિભાગ સમગ્ર ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરી રહ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. ગીરના સિંહોની સુરક્ષા અને સંરક્ષણ માટે વધુ અસરકારક મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.