પાકિસ્તાની આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા તેમની મહિલા આત્મઘાતી ટુકડીઓ માટે મોટા પાયે ભરતીમાં રોકાયેલા છે. આ આત્મઘાતી ટુકડી તૈયાર કરવાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનતને સોંપવામાં આવી છે.

આ સંગઠન દ્વારા આયોજિત મહિલા આત્મઘાતી ટુકડીની એક મોટી બેઠકની ગુપ્ત માહિતી અને ફોટોગ્રાફ્સ એક અખબારે મેળવ્યા છે. ૧૮ એપ્રિલના રોજ સવારે ૯ વાગ્યે મુઝફ્ફરાબાદના ગોજરમાં ઓએસએ (વન સ્ટેપ અહેડ કોલેજ) ખાતે ૧૦ કલાકનું ખાસ સત્ર યોજાયું હતું અને ભરતી કરવામાં આવી હતી.

આતંકવાદી મસૂદ અઝહરની બહેન, સાદિયા અઝહર સહિત  પીઓકેના ચાર કમાન્ડરો પણ સત્રમાં હાજર હતા. આ ખાસ સત્રમાં ૧૫૦ થી વધુ મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૮ એપ્રિલે યોજાયેલા આત્મઘાતી ટુકડી ભરતી અને તાલીમ શિબિર વિશેની તમામ માહિતી કેન્દ્રીય સુરક્ષા દળોને સુપરત કરવામાં આવી છે.

પાકિસ્તાની બાબતોના નિષ્ણાત અને લાંબા સમયથી ગુપ્તચર અધિકારી રહેલા નિવૃત્ત બ્રિગેડિયર હરદીપ સિંહ વિરડી કહે છે કે પાકિસ્તાની સેના મહિલા આત્મઘાતી ટુકડીઓ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ જ કારણ છે કે જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

નિવૃત્ત બ્રિગેડિયર વિરડી કહે છે કે પાકિસ્તાનમાં હરકત-ઉલ-મુજાહિદ્દીન સાથે સંકળાયેલી મહિલાઓ પણ આતંકવાદ ફેલાવવામાં ભાગ લે છે. તેમને પણ જમ્મુ અને કાશ્મીરથી ભારતના વિવિધ ભાગોમાં આતંક ફેલાવવાનું કામ સોંપવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ગુપ્તચર એજન્સી દ્વારા મળેલી માહિતી અનુસાર, આ કોર્ષ પછી જમાત-ઉલ-મોમિનત દ્વારા બે મુખ્ય કોર્ષ કરાવવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા સત્રમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરની ભાગીદારી અંગે પણ એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું.

માહિતી અનુસાર, આ બેઠકમાં મહિલાઓને જમ્મુ અને કાશ્મીરનો નકશો બતાવવામાં આવ્યો હતો, જેમાં દરેક જિલ્લા અને તેની વસ્તી વિષયક માહિતીનો સમાવેશ થતો હતો. આ બેઠકમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ સત્ર પછી, આ મહિલાઓને મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં લાહોરમાં એક ખાસ તાલીમ આપવામાં આવશે.

અગાઉ, ૧૭ જાન્યુઆરીએ લાહોરમાં મહિલા કાયદા કોલેજ અને બહાવલપુરમાં મરકઝ ઉસ્માન-ઓ-અલી ખાતે શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૯૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.