વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ જિલ્લામાં ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પર્યાવરણલક્ષી અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક તાલુકામાં સઘન વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
૧૦મી જૂને લોધિકા રાઉન્ડના ખાંભા ગામમાં રામાપીરના મંદિર તથા સ્મશાનમાં ૭૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાંભા ગામના સરપંચ, ઉપસરપંચ, ખાંભા ભાજપ તાલુકા સદસ્ય, માંખવડ ભાજપ મહામંત્રી, પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જાડાયા હતા.
જ્યારે પાટીદડ સ્થીત વિમલ રિસર્ચ સેન્ટર ખાતે સામાજિક વનીકરણ કોટડા સાંગાણીના સ્ટાફ તેમજ સેન્ટરના અધિકારીઓ, સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. જેતપુર રેન્જના જેતપુર રાઉન્ડ દ્વારા કેરાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
સામાજિક વનીકરણ રેન્જ જામકંડોરણા દ્વારા બોરીયા પ્રાથમિક શાળામાં ૧૨ રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું અને નાગરિકોને ૧૨૦૦ જેટલા રોપાઓનું વિતરણ પણ કરાયું હતું. આ અભિયાન અંતર્ગત વન વિભાગના સ્ટાફ દ્વારા ઉપસ્થીત લોકોને વૃક્ષોનું મહત્વ અને તેના જતન વિશે સમજણ આપવામાં આવે છે તેમજ ચાલુ વર્ષે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવે છે.










































