રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ધોરણ-૫ની વિદ્યાર્થીની આયુષી બલદાણીયાના મોતની તપાસ દરમિયાન રાજ્યવ્યાપી ડમી સ્કૂલિંગ નેટવર્ક સામે આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતના ૩૧ શહેરોની વિવિધ શાળાઓમાં નોંધાયેલા કુલ ૬૯૭ વિદ્યાર્થીઓ વાસ્તવમાં આલ્ફા સંકુલમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા.
તપાસનો વિગતવાર અહેવાલ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને મોકલી આપવામાં આવ્યો છે. આ ખુલાસા બાદ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં ડમી એડમિશન અને હાજરીની પદ્ધતિને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
મહુવા તાલુકાના મોટા જાદરા ગામની ૧૦ વર્ષની આયુષી બલદાણીયાને એપ્રિલ મહિનામાં આલ્ફા સંકુલની હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી હતી. પરિવારના આક્ષેપ મુજબ બાળકીની તબિયત બગડ્યા છતાં સંચાલકો દ્વારા સમયસર પરિવારને જાણ કરવામાં આવી નહોતી તેમજ યોગ્ય સારવાર પણ અપાઈ નહોતી. બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું
આ ઘટનાની તપાસ બાદ પોલીસે ટ્રસ્ટી જયસુખ શંખારવા અને હિરેન શંખારવા સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. હાલ સ્કૂલ અને હોસ્ટેલને તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીઓ આલ્ફા સંકુલમાં રહીને નવોદય વિદ્યાલય અને સૈનિક સ્કૂલ જેવી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરતા હતા. બીજી તરફ તેમના નામ રાજ્યની અલગ-અલગ શાળાઓમાં યથાવત નોંધાયેલા રહેતા હતા અને ત્યાં તેમની ઓનલાઈન હાજરી પણ નોંધાતી હતી.
આ પ્રણાલી છેલ્લા બે શૈક્ષણિક વર્ષથી ચાલતી હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે અનેક શાળાઓની ભૂમિકા પણ તપાસના ઘેરામાં આવી શકે છે.
વર્ષવાર ડમી વિદ્યાર્થીઓની સંખ્યા
૨૦૨૫-૨૬ઃ ૨૫૦ વિદ્યાર્થીઓ
૨૦૨૬-૨૭ઃ ૪૪૭ વિદ્યાર્થીઓ
કુલઃ ૬૯૭ વિદ્યાર્થીઓ
આ તમામ વિદ્યાર્થીઓ ગુજરાતના ૩૧ શહેરોની વિવિધ શાળાઓમાં નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. શિક્ષણ વિભાગે તમામ વિદ્યાર્થીઓની વિગતો ગાંધીનગર મુખ્ય કચેરીને મોકલી આપી છે. આગામી દિવસોમાં સંડોવાયેલી શાળાઓ, સંચાલકો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. સાથે જ રાજ્યભરમાં ડમી સ્કૂલિંગના અન્ય કેસોની પણ તપાસ શરૂ થવાની શક્યતા છે.







































