સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પર, કેન્દ્ર સરકારે ૧૪ ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરી છે. તેમને ચાર હાઈકોર્ટમાં ન્યાયાધીશ અને વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમાં દિલ્હી, ઝારખંડ, કર્ણાટક, અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને આ નિમણૂકોને મંજૂરી આપી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ન્યાયિક અધિકારીઓને સંબંધિત હાઈકોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નિમણૂકોમાં, નિવેદિતા અનિલ શર્મા અને નિશા સહાય સક્સેનાને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજય શર્મા, ભરત પરાશર, ડા. અદિતિ ચૌધરી, દિનેશ ભટ્ટ અને અરુણ ભારદ્વાજને દિલ્હી હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
યશ પાલ બોર્નીને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મનોજ પ્રસાદ, અખિલ કુમાર અને રામ શર્માને ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન, ઉષા રાની, કે.એસ. ભરત કુમાર અને નેરાલે વી. ભવાનીને કર્ણાટક હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આ નિમણૂકો સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણો પર આધારિત છે, જેની અધ્યક્ષતા સીજેઆઈ સૂર્યકાંત કરે છે. કોલેજિયમે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાયેલી તેની બેઠકમાં આ નિમણૂકોની ભલામણ કરી હતી.








































