કોડીનાર તાલુકાના અરણેજ ગામે દીપડાના હુમલામાં આઠ વર્ષની બાળકીનું કરુણ મોત થયું છે. બાળકી પોતાના વાડી વિસ્તારના મકાનથી મોટા બાપાના ઘરે જઈ રહી હતી ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. ત્રણ કલાકની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ બાજરીના ખેતરમાંથી મળી આવ્યો હતો. આ ઘટના રાત્રે આશરે ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ બની હતી. અરણેજ ગામના બીડીના પા વિસ્તારમાં રહેતા ખેડૂત મહેશભાઈ રામભાઈ ગોહિલની આઠ વર્ષની દીકરી કોમલ અને તેની ૧૨ વર્ષની મોટી બહેન વિશ્વા, બંને પોતાના વાડી વિસ્તારના મકાનથી આશરે ૨૦૦ મીટર દૂર આવેલા મોટા બાપાના મકાને એક પ્રસંગમાં જઈ રહી હતી.મોટી બહેન વિશ્વા આગળ હતી અને કોમલ પાછળ ચાલી રહી હતી. તે સમયે અચાનક દીપડાએ કોમલ પર હુમલો કર્યો અને તેને પોતાના જડબામાં ફસાવી મકાન પાસેના બાજરીના ખેતરમાં નાસી ગયો. વિશ્વાએ દેકારો મચાવતા ઘરના લોકો અને ગામના યુવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગને જાણ કરાતા જામવાળા વન વિભાગની ટીમો પણ પહોંચી હતી.આશરે ત્રણ કલાકની જહેમત બાદ બાળકીનો મૃતદેહ ઘર નજીકના બાજરીના ખેતરમાંથી મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આદમખોર બનેલા દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે અને દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.