જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ઘરકંકાસને લઈને એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ માહિતી મુજબ, પત્નીના મોતના મામલામાં પતિ સામે હત્યાનો આરોપ નોંધાયા બાદ પતિનું પણ રેલવે ટ્રેક પર મોત થયું છે. આશરે ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક વિવાદ અને ઝઘડાઓ ચાલતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ, ગત રોજ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ ઉગ્ર બનતાં પત્ની સાથે ગંભીર હિંસા થઈ હોવાનું અને તેના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતક મહિલાના પરિવારજનો તેમજ આસપાસના લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
પત્નીના મોત બાદ પતિ ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ રેલવે ટ્રેક પર તેનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ઘટનાને લઈને અલગ અલગ પાસાઓથી તપાસ શરૂ કરી છે. પતિના મોત પાછળના સંજાગો અંગે પણ સંબંધિત પોલીસ અને રેલવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, બંનેએ આશરે ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. જાકે છેલ્લા કેટલાક સમયથી તેમના વચ્ચે નાની-મોટી બાબતોને લઈને વારંવાર વિવાદ થતો હોવાનું સામે આવ્યું છે. ઘરેલુ વિવાદ આખરે ગંભીર ઘટનામાં પરિણમતાં બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.કેશોદ પોલીસે બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના મોતના મામલે હત્યાનો ગુનો નોંધવાની પ્રક્રિયા અને પતિના મોતના સંજાગોની તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અને બંને મૃત્યુ પાછળના ચોક્કસ કારણો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.