એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતું ગીર અભયારણ્ય હવે આગામી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ચોમાસા અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું વિશ્વનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતું ગીર અભયારણ્ય હવે આગામી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆત અને સિંહો સહિતના વન્યજીવોના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર જંગલમાં સફારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ૨૨ જૂનની સાંજે છેલ્લી સફારી જંગલમાંથી પરત ફરતા જ સાસણ ગીર સફારી પાર્કને સત્તાવાર રીતે બંધ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આગામી ૧૬ ઓક્ટોબરથી ફરી એકવાર પ્રવાસીઓ માટે ગીરના દ્વાર ખુલશે.
દર વર્ષે લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું ગીર અભયારણ્ય ચોમાસાની સિઝન દરમિયાન બંધ રાખવામાં આવે છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી ગીર સફારી બંધ રહેતી હોય છે. જાકે આ વર્ષે ચોમાસું મોડું પહોંચતાં વન વિભાગે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સફારીને એક અઠવાડિયું વધુ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. વધારાનો સમયગાળો પૂર્ણ થતાં ૨૨ જૂનની સાંજે અંતિમ સફારી જંગલમાંથી પરત ફરી હતી અને ત્યારબાદ ગીર નેચર સફારી પાર્કને સત્તાવાર રીતે બંધ કરવામાં આવ્યો હતો.વન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન જંગલની અંદરના કાચા રસ્તાઓ ભારે વરસાદને કારણે ખરાબ થઈ જાય છે. આવા સંજાગોમાં પ્રવાસીઓની સુરક્ષા જાળવવી મુશ્કેલ બની શકે છે. ઉપરાંત આ સમયગાળો સિંહો સહિતના વન્યજીવોના પ્રજનન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. વન્યજીવોને અનુકૂળ અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે તે માટે જંગલમાં માનવ દખલગીરી ઘટાડવી જરૂરી બને છે. આ કારણે દર વર્ષે નિયમ મુજબ ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.
ગીર સેન્ચુરીના સુપરિન્ટેન્ડન્ટ અગ્નીશ્વર વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૬ સુધીના સમયગાળામાં ગીર અભયારણ્યમાં ૨ લાખ ૮૪ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે દેવળિયા ગીર પરિચય ખંડમાં ૯ લાખ ૨૭ હજારથી વધુ સહેલાણીઓ પહોંચ્યા હતા. આમ કુલ મળીને ૧૧ લાખથી વધુ પ્રવાસીઓએ ગીરના વનરાજાના દર્શનનો લાભ લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.
સફારીના અંતિમ દિવસે આવેલા પ્રવાસીઓ માટે આ દિવસ ખાસ યાદગાર બની રહ્યો હતો. અનેક પ્રવાસીઓએ એકસાથે ૧૦થી વધુ સિંહોના દર્શન કર્યા હતા. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે સફારી બંધ થાય તે પહેલાં ગીરની મુલાકાત લેવાનો અવસર મળ્યો અને સિંહોના અદ્ભુત દર્શન થતાં તેમની સફર જીવનભર યાદ રહે તેવી બની ગઈ. જાકે મુખ્ય ગીર જંગલ આગામી ચાર મહિના માટે બંધ રહેશે, પરંતુ દેવળિયા સફારી પાર્ક નિયમ મુજબ પ્રવાસીઓ માટે ખુલ્લો રહેશે. પ્રવાસીઓ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન બુકિંગ કરાવી જીપ્સી અથવા બસ સફારીનો આનંદ માણી શકશે. બીજી તરફ ચોમાસા દરમિયાન વન વિભાગની ટીમો દ્વારા પેટ્રોલિંગ, વન્યજીવ રેસ્ક્્યુ, જંગલની દેખરેખ અને સંરક્ષણ સંબંધિત કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. ગીર અભયારણ્યનું આ ચાર મહિનાનું વિરામ વન્યજીવોના સંરક્ષણ અને પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. હવે આગામી ૧૬ ઓક્ટોબરથી ફરી એકવાર ગીરના જંગલોમાં સફારી શરૂ થશે