અમદાવાદમાં ચોમાસાની શરૂઆત પૂર્વે જ પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઝાડા-ઊલટી, પેટમાં દુખાવો, તાવ અને ગેસ્ટ્રોની ફરિયાદ સાથે આવતા દર્દીની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દૂષિત પાણી અને અનેક વિસ્તારોમાં ભરાયેલાં વરસાદી પાણીને કારણે લોકોનાં આરોગ્ય પર સીધી અસર જોવા મળી રહી છે.
ચોમાસાના પ્રથમ ઝાપટા બાદ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચકવાનું શરૂ કર્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઝાડા-ઊલટી, તાવ અને અન્ય ચેપી રોગોના કેસોમાં વધારો નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા સપ્તાહિક રિપોર્ટ મુજબ ડોર-ટુ-ડોર સર્વે દરમિયાન અનેક વિસ્તારમાં અસ્વચ્છતા અને મચ્છરનાં બ્રીડિંગ સ્પોટ મળી આવ્યાં છે, જેના પગલે સેંકડો રહેણાક અને કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
ચોમાસા દરમિયાન દૂષિત પાણી અને ખુલ્લામાં જમા થતાં વરસાદી પાણીને કારણે ઝાડા-ઊલટીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ફોગિંગ, એન્ટી લારવા કામગીરી અને જનજાગૃતિ અભિયાન તેજ બનાવ્યું છે.
તંત્રના દાવા મુજબ, હજારો ઘરમાં પોરાનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને મચ્છરનાં બ્રીડિંગ અટકાવવા માટે સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં ગંદું પાણી, ઓવરફ્લો ગટર અને વરસાદી પાણીનાં ખાબોચિયાં રોગચાળાને આમંત્રણ આપી રહ્યાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનના કેટલાક વિસ્તારોમાં ગટર મિશ્રિત પાણી, વરસાદી પાણીનાં ખાબોચિયાં અને અસ્વચ્છતાને કારણે લોકોમાં ચેપજન્ય બીમારીનું જઓખમ વધ્યું છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ બાળક અને વૃદ્ધમાં ઝાડા-ઊલટીના કેસ વધુ જઓવા મળી રહ્યા છે. સતત વરસાદ અને પાણીનાં પ્રદૂષણને કારણે આગામી દિવસોમાં દર્દીની સંખ્યા વધુ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગત મહિનામાં ઝાડા ઊલટીના ૮૨૪ કેસ, ટાઈફોઈડના ૫૦૨ કમળાના ૨૬૪ અને કોલેરાના ૧૨૨ કેસ નોંધાયા છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ વિસ્તારમાં અનહાઇજેનિક કન્ડીશન અને પ્રદૂષિત પાણીનાં કારણે કોલેરાના નવ કેસ ત્યાં નોંધાયા છે. પૂર્વમાં જ ઝાડા ઊલટી, કોલેરા સહિતના પાણીજન્ય રોગચાળો વધારે જોવા મળ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા કરતાં પણ ઝાડા-ઊલટી અને ટાઈફોઇડ વગેરેના દર્દીઓ ખૂબ વધારે જોવા મળ્યા છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ આ પ્રકારના દર્દીની સંખ્યામાં દસ ટકા જેટલો વધારો નોંધાયો છે.