અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં ૧૮ જુલાઈએ થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનામાં હવે વધુ એક ગંભીર રીતે દાઝેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં હજુ પણ ચાર દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની હાલત અત્યંત ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ગેરકાયદે ફટાકડા ઉત્પાદન અને સલામતીના નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડા. રાકેશ જાશીના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ બાદ પાંચ ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં એક મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થતો હતો. આ પૈકી એક પુરુષ ૯૫ ટકાથી વધુ દાઝી ગયો હતો, જ્યારે મહિલાના શરીરના લગભગ ૭૫ ટકા ભાગમાં ગંભીર દાઝવાની ઈજા પહોંચી હતી. બંને દર્દીઓને તાત્કાલિક આઇસીયુમાં દાખલ કરીને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી. જાકે, તમામ પ્રયાસો છતાં ૨૦ જુલાઈની વહેલી સવારે લગભગ ૨ઃ૧૫ વાગ્યે ૯૫ ટકા દાઝેલા પુરુષ દર્દીનું મોત થયું હતું. આ મૃત્યુ બાદ સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૦ થયો છે.હાલ સિવિલ હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાં એક મહિલાની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે. બર્ન્સ વોર્ડમાં દાખલ અન્ય બે દર્દીઓમાંથી એકને શરીરના લગભગ ૪૦ ટકા અને બીજા દર્દીને ૨૦ ટકા સુધી દાઝવાની ઈજા પહોંચી છે. સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકનો ઉપયોગ કરીને બંને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ડાક્ટરોએ જણાવ્યું કે ૪૦ ટકા દાઝેલા દર્દીને શરીરના લગભગ ૨૮ ટકા ભાગમાં દાનમાં મળેલી ચામડી લગાવવામાં આવી છે. જ્યારે ૨૦ ટકા દાઝેલા દર્દીના લગભગ ૧૫ ટકા ભાગમાં પણ સ્કીન બેંકમાંથી મળેલી ચામડીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક સર્જરી અને બર્ન્સ વિભાગની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. હોસ્પિટલના જણાવ્યા મુજબ, એક અન્ય દર્દીની હાલત હાલમાં સ્થિર છે.૧૮ જુલાઈના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ હેઠળ ગેરકાયદે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટે સમગ્ર વિસ્તારને ધ્રુજાવી દીધો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ લગભગ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાસ્થળે કામ કરી રહેલા અનેક શ્રમિકો વિસ્ફોટની ઝપેટમાં આવી ગયા હતા. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધુ હતી કે કેટલાક મૃતકોના શરીરના ટુકડા દૂર સુધી ફંગોળાઈ ગયા હતા, જ્યારે આસપાસના વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું હતું.વિસ્ફોટના કારણે ઘટનાસ્થળથી લગભગ ૩૦૦ મીટર દૂર આવેલી ઓરડીઓના દરવાજા અને પંખા તૂટી ગયા હતા. આસપાસના ખેતરોમાં ઉભેલો પાક પણ આગની ઝપેટમાં આવી સળગી ગયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત કુલ ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવ બાદ ફાયર બ્રિગેડ, પોલીસ અને બચાવ ટીમોએ સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ફટાકડા બનાવવાનું એકમ ગેરકાયદે રીતે સંચાલિત થતું હતું. ઘટનાને પગલે સંબંધિત વિભાગો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી છે.