મિઝોરમમાં સક્રિય છેલ્લા વંશીય આતંકવાદી જૂથે ગુરુવારે પોતાના શસ્ત્ર સમર્પણ કર્યા. આ સાથે, પૂર્વોત્તરમાં એક મુખ્ય રાજ્ય, મિઝોરમ, હવે બળવાખોરી મુક્ત છે. મુખ્યમંત્રી લાલદુહોમાએ આ જાહેરાત કરી. હકીકતમાં, મિઝોરમમાં માનવતાવાદી હિંસા અને બળવાખોરીનો યુગ ફેબ્રુઆરી ૧૯૬૬ માં મિઝો નેશનલ ફ્રન્ટ સાથે શરૂ થયો હતો. ૩૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ ૬૦ વર્ષ પછી તે સમાપ્ત થયું. આ સાથે, રાજ્ય હવે બળવાખોરી મુક્ત છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાકે આ આતંકવાદી જૂથ ઘણા વર્ષોથી નિષ્ક્રિય હતું, પરંતુ લાલમિંગથાંગા સનાટેના નેતૃત્વ હેઠળના હમાર પીપલ્સ કન્વેન્શન (ડેમોક્રેટિક) અથવા એચપીસી ડી ના એક જૂથ દ્વારા સમયાંતરે છૂટાછવાયા ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સનાટેના જૂથને રાજ્યમાં બાકી રહેલું છેલ્લું સક્રિય આતંકવાદી જૂથ માનવામાં આવતું હતું. દિવસ દરમિયાન આઈઝોલ નજીક સેસાવંગમાં આયોજિત ‘ઘરવાપસી અને શસ્ત્ર શરણાગતિ સમારોહ’ દરમિયાન સનાટે સહિત આતંકવાદી જૂથના કુલ ૪૩ સભ્યોએ સરકાર સમક્ષ તેમના શસ્ત્ર સમર્પણ કર્યા.
આ ગૃહ વાપસી સમારોહ ૧૪ એપ્રિલના રોજ મિઝોરમ સરકાર અને એચપીસી ડી વચ્ચે શાંતિ કરાર બાદ યોજાયો હતો, જેને રાજ્યમાં બળવાખોરીનો ઔપચારિક અંત માનવામાં આવે છે. આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી લાલદુહોમાએ કહ્યું કે ભૂતકાળમાં, જ્યારે પણ મિઝોરમમાં શાંતિની વાત થતી હતી, ત્યારે લોકોના મનમાં એચપીસી ડી બળવાનો પડછાયો રહેતો હતો. તેમણે કહ્યું, “અમે ખુલ્લા હૃદયથી વાટાઘાટો કરી અને એક કરાર પર પહોંચ્યા. અમારા ગૃહમંત્રી અને તેમની ટીમે અથાક મહેનત કરી. આજે, અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. હવે, અમે ગર્વથી કહી શકીએ છીએ કે મિઝોરમ ખરેખર એક શાંતિપ્રિય રાજ્ય છે.”
મુખ્યમંત્રીએ વિવિધ મિઝો જનજાતિઓને એક થવાની અપીલ કરતા કહ્યું કે, કોઈપણ પેટા-જનજાતિની ઓળખ મિઝો ઓળખથી શ્રેષ્ઠ હોઈ શકે નહીં. તેમણે કહ્યું, “આપણે બધા મિઝો છીએ. જા સમુદાયમાં પેટા-જનજાતિઓ અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરશે, તો તેઓ સફળ થશે નહીં. આપણે આપણી સામાન્ય મિઝો ઓળખથી સંતુષ્ટ રહેવું જાઈએ.” આપણે ફક્ત એકતા દ્વારા જ આગળ વધી શકીએ છીએ.
શાંતિને વધુ કિંમતી ગણાવતા, લાલદુહોમાએ કહ્યું કે તેમણે દાયકાઓ પહેલા મિઝો નેશનલ ફ્રન્ટના અલગતાવાદી ચળવળ દરમિયાન શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું અને ઘણા વ્યક્તિગત બલિદાન આપ્યા હતા. તેમણે આત્મસમર્પણ કરનારા કાર્યકરોની પ્રશંસા કરતા કહ્યું કે સમુદાયના હિતમાં ફક્ત હિંમતવાન લોકો જ શસ્ત્ર છોડી શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મિઝોરમ હવે કોઈપણ પ્રકારના બળવાને સહન કરતું નથી અને શાંતિ જાળવવા માટે દરેકને સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવવા અપીલ કરી.