ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનમાં, હવે બધાનું ધ્યાન પ્લેઓફ પર કેન્દ્રિત છે. ૨૨ મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની લીગ સ્ટેજ મેચના પરિણામથી ક્વોલિફાયર માટેનું ચિત્ર મોટાભાગે સ્પષ્ટ થઈ ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ૫૫ રનથી મેચ જીતી ગયું હતું પરંતુ ટોપ-ટુમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયું. પરિણામે, હવે પ્રથમ ક્વોલિફાયર ૨૬ મેના રોજ ડિફેન્ડીંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.
ડિફેન્ડીંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ ૨૦૨૬ સીઝનના લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેમની ૧૪ મેચમાંથી નવ જીતી હતી અને ૧૮ પોઈન્ટ સાથે ટોચ પર રહી હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પણ ૧૮ પોઈન્ટ સાથે લીગ સ્ટેજ પૂર્ણ કર્યો હતો. જાકે, આરસીબી વધુ સારા નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સ બીજા અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને રહ્યું હતું. આરસીબીનો નેટ રન રેટ ૦.૭૮૩ હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સનો ૦.૬૯૫ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો ૦.૫૨૪ હતો. ડિફેન્ડીંગ ચેમ્પિયન આરસીબી ૨૬ મેના રોજ ધર્મશાળા સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર ૧ માં ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે.
એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ કઈ ટીમનો સામનો કરશે તે નક્કી કરવાનું બાકી છે. પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ, સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલ ૨૦૨૬ સીઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું હતું પરંતુ ટોચના બેમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. હવે તેઓ ૨૭ મેના રોજ મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે યોજાનાર એલિમિનેટર મેચમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમનો સામનો કરશે, જેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ચાર ટીમો હજુ પણ રેસમાં છેઃ રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, કેકેઆર અને દિલ્હી કેપિટલ્સ. રાજસ્થાન, હાલમાં ૧૩ મેચમાંથી ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, તે સૌથી મજબૂત સ્થિતિમાં હોય તેવું લાગે છે. તેમના અંતિમ લીગ મેચમાં જીત તેમને સીધા પ્લેઓફમાં સ્થાન સુનિશ્ચિત કરશે.














































