ગુજરાત હાઇકોર્ટથી દુષ્કર્મ કેસના આરોપી આસારામને ફરી એકવાર રાહત મળી છે. વાસ્તવમાં ગુજરાત હાઇકોર્ટએ તેમના હંગામી જામીનની મુદતમાં વધારો કરતા તેને ૧૫ જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ જામીન ૩૦ મેના રોજ પૂર્ણ થવાના હતા, પરંતુ તબીબી કારણોસર કોર્ટમાં અરજી કરવામાં આવતા આ રાહત આપવામાં આવી છે.
આસારામને અગાઉ પણ મેડિકલ ગ્રાઉન્ડ પર હંગામી જામીન આપવામાં આવ્યા હતા. ગત વર્ષે ૬ નવેમ્બરે કોર્ટ દ્વારા તેમની સજા સસ્પેન્ડ કરીને તબીબી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન મંજૂર કરાયા હતા. ત્યારબાદ સમયાંતરે તેમની તરફથી જામીન વધારવા માટે અરજીઓ કરવામાં આવી રહી છે.
આ મામલે કોર્ટની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, જામીન દરમિયાન આસારામ તરફથી કોઇ પણ પ્રકારનો દુરુપયોગ થયો નથી. તેમની તબીબી હાલતને જાતા સતત દેખરેખ અને સારવાર જરૂરી હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આસારામને સમયાંતરે ચેકઅપ તેમજ ઇમરજન્સી સારવારની સુવિધા નજીકમાં ઉપલબ્ધ રહેવી જરૂરી છે.
બીજી તરફ રાજ્ય સરકારએ આ અરજીનો વિરોધ કર્યો હતો. સરકારના પક્ષે દલીલ કરવામાં આવી હતી કે આસારામ સામેનો એક અન્ય ગંભીર કેસ રાજસ્થાન હાઇકોર્ટમાં પેન્ડિંગ છે, અને આ પરિસ્થિતિમાં ફરીથી જામીન આપવાનું યોગ્ય નથી. તેમ છતાં, કોર્ટએ તમામ મુદ્દાઓનું મૂલ્યાંકન કરીને હાલ માટે ૧૫ જૂન સુધી જામીન લંબાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ, ૧૨ જૂનના રોજ આ કેસની આગામી સુનાવણી નક્કી કરવામાં આવી છે. બીજી બાજુ રાજસ્થાન હાઇકોર્ટે પણ આસારામના વચગાળાના જામીનને ૨૫ મે સુધી અથવા અપીલ પર નિર્ણય આવે ત્યાં સુધી માન્ય રાખવાનો આદેશ આપ્યો છે.