આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીઓમાં વધુ એક વધારો થયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ધારાસભ્ય સહિત આપઁના ચાર નેતાઓને નોટિસ પાઠવી છે અને આગામી ૨૯ જૂને પોલીસ સ્ટેશનમાં હાજર રહી પોતાનું નિવેદન નોંધાવવા સૂચના આપી છે.
આ કાર્યવાહી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં લાગેલી આગની ઘટના સાથે જોડાયેલા મામલે કરવામાં આવી છે. ઘટનાના સમયે ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ મૃતકના પરિવારજનો અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું.
માહિતી અનુસાર, બોલાચાલી દરમિયાન મૃતકના સંબંધી અને ધારાસભ્ય વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ સમગ્ર ઘટનાના અનુસંધાનમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સંબંધિત પક્ષોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
આ દરમિયાન ચૈતર વસાવા અન્ય એક કાયદાકીય મામલાનો પણ સામનો કરી રહ્યા છે. પોલીસ તંત્ર અંગે કરાયેલા નિવેદનોને લઈને દાખલ થયેલા બદનામીના કેસમાં ભરૂચની અદાલતે પણ તેમને ફરી નોટિસ પાઠવી છે.
આ કેસમાં અગાઉ પણ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ તેની અમલવારી ન થતાં સરકારી પક્ષે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ કોર્ટે નવી તારીખ નક્કી કરીને ધારાસભ્યને આગામી ૨૯ જુલાઈએ રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. હાલ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ દ્વારા તપાસ ચાલુ છે, જ્યારે બંને કેસોમાં આગામી કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર છે.








































