આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં એનડીએ ગઠબંધનને જંગી વિજય મળ્યો હતો. આ પછી, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ બુધવારે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું ઔપચારિક રાજીનામું સુપરત કર્યું. હવે, સમાચાર સામે આવ્યા છે કે ૧૨ મેના રોજ આસામમાં નવી સરકાર શપથ લઈ શકે છે. આનો અર્થ એ થયો કે હિમંત બિસ્વા શર્મા ૧૨ મેના રોજ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.
હિમંત બિસ્વા શર્માએ આજે તેમના કેબિનેટ સાથીદારો સાથે રાજીનામું આપ્યું, જેનાથી ભાજપની આગેવાની હેઠળની નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો. ભાજપના નેતૃત્વ હેઠળના ૧૨૬ સભ્યોની વિધાનસભામાં ૧૦૨ બેઠકો જીતી. આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ ૯ એપ્રિલના રોજ એક જ તબક્કામાં યોજાઈ હતી અને ૪ મેના રોજ મતગણતરી થઈ હતી.
મુખ્યમંત્રી કાર્યાલયે ‘એકસ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આસામ ચૂંટણી ૨૦૨૬ ના પરિણામોની ઔપચારિક સૂચના પછી અને નવી સરકારની રચનાને સરળ બનાવવા માટે, ડા. હિમંત બિસ્વા શર્માએ આજે લોકભવન ખાતે માનનીય રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યને મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું સુપરત કર્યું, જેમાં તેમના કેબિનેટ સાથીદારોના રાજીનામા પણ સામેલ છે.”
પોસ્ટમાં જણાવાયું હતું કે રાજ્યપાલે રાજીનામું સ્વીકાર્યું છે અને નવી સરકાર કાર્યભાર સંભાળે ત્યાં સુધી સરમાને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા વિનંતી કરી છે. બાદમાં, લોકભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા, સરમાએ કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ ૧૧ મે પછી થવાની સંભાવના છે. “આ એક ઐતિહાસિક જીત છે, તેથી અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રસંગે હાજરી આપવા આમંત્રણ આપ્યું છે,” તેમણે કહ્યું. સરમાએ કહ્યું કે આસામના નવા મુખ્યમંત્રીની પસંદગી કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં કરવામાં આવશે.