ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મોતીબાગથી નીકળીને આ રેલી કલેકટર કચેરી પહોંચી હતી અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
બંને સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીને લઈને આવેદન મારફતે રજૂઆત કરી હતી અને સાથે માંગ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ભાવનગર શહેરના આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોએ ડેપ્યુટી કલેક્ટર એન.ડી.ગોવાણીને આવેદનપત્ર પાઠવીને પોતાના પડતર માંગણીઓ પૂર્ણ કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારે સીઆઇટીયુના મંત્રી રાજેશ્રીબા ગોહિલે જણાવ્યું હતું કે, આ પહેલાં પણ અમે કાર્યક્રમ કરેલો હતો, પરંતુ સરકારે તેની નોંધ લીધી નથી. હવે બજેટ છે ત્યારે અમારો પગાર વધારો, મોબાઈલ આપવાની વિચારણા કરે છે પણ તેના બદલે વિચારણા નહીં અમલમાં મૂકે તેવી અમારી માંગણી છે.
આવેદનપત્ર આપવા આંગણવાડીની સાથે આશા વર્કર બહેનોનું સંગઠન પણ આવ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ આશા વર્કર બહેન પુષ્પાબેન પરમારે જણાવ્યું હતું કે, અમારે ચાર મહિનાથી પગાર નથી થયો, ૫૦ ટકાનો વધારો પણ પગારનો નથી આપ્યો, અને ઓનલાઇન કામગીરી કરાવે છે અને મોબાઈલ પણ નથી આપ્યા. અમારો આશા વર્કરનો જીઆર એવો છે કે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું હોય તેના બદલે ૨૪ કલાક સુધી અમને કામ કરાવે છે.
આંગણવાડી અને આશા વર્કર બહેનોએ આવેદનપત્ર આપ્યું ત્યારબાદ આશાવર્કર પુષ્પાબેન પરમારે જણાવ્યું હતું કે, જા અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં કરવામાં આવે તો સમગ્ર તમામ યુનિયન આંગણવાડી આશા વર્કર દરેક યુનિયનો એક થઈને આગામી ૧૨ તારીખે આંદોલન કરશે અને ત્યાર બાદ પણ જા ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.