સાબરમતી નદીમાં સતત બીજા દિવસે મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આજે, ૧૩ સપ્ટેમ્બરે સવારે રિવરફ્રન્ટ વિસ્તારમાંથી એક યુવકની તરતી લાશ મળી આવી હતી. મૃતદેહની તપાસ દરમિયાન યુવકના હાથ પર મોબાઈલ નંબર સાથે હિન્દીમાં એક સંદેશ લખેલો મળી આવ્યો હતો. તેમાં “મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના” લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
મૃતકની ઓળખ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી રોહિત પ્રજાપતિ તરીકે થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે હાથ પર લખાયેલા મોબાઈલ નંબરના આધારે પરિવારનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, આજે સવારે આશરે ૧૦ઃ૩૦ વાગ્યે સાબરમતી નદી માં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ રિવરફ્રન્ટ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની રિવર રેસ્ક્યૂ ટીમે નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાના સંજાગો જાણવા તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પાસેથી કોઈ ઓળખપત્ર કે અન્ય દસ્તાવેજ મળ્યા નહોતા. જોકે, મૃતકના હાથ પર લખાણ જાવા મળતાં તપાસમાં એક મહત્વની કડી મળી હતી.
પોલીસને યુવકના હાથ પર હિન્દીમાં લખાયેલો સંદેશ જોવા મળ્યો હતો. તેમાં “મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના” લખેલું હતું. તેની સાથે એક મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો હતો. પોલીસે આ નંબર પર સંપર્ક કરતાં મૃતકના પરિવાર સુધી પહોંચી શકાઈ હતી. ત્યારબાદ પરિવારને રોહિત પ્રજાપતિના મૃત્યુ અંગે જાણ કરવામાં આવી હતી. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. રોહિત નદી સુધી કેવી રીતે પહોંચ્યો અને તેના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ શું છે, તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.હાથ પર લખાયેલા સંદેશને કારણે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જોકે, યુવકે આપઘાત કર્યો હતો કે તેના મૃત્યુ પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે પોલીસે હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ આપ્યો નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ મૃત્યુનું કારણ વધુ સ્પષ્ટ થઈ શકે છે. ઘટનાના અગાઉના સમયગાળામાં રોહિત ક્યાં હતો અને તે અમદાવાદ કેવી રીતે આવ્યો હતો તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.આ ઘટનાને વધુ રહસ્યમય બનાવતી બાબત એ છે કે એક દિવસ પહેલાં પણ સાબરમતી નદીમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું. ગઈકાલે બપોરે જમાલપુર નજીક નદીમાંથી ફાયર બ્રિગેડની ટીમે હાડપિંજર બહાર કાઢ્યું હતું. હાડપિંજરના ઉપરના ભાગે થોડાં કપડાં પણ મળી આવ્યા હતા. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ મૃતદેહ આશરે ૧૦ દિવસ કે તેથી વધુ જૂનો હોઈ શકે છે.હાલ આ હાડપિંજર કોનું છે તેની ઓળખ થઈ નથી. પોલીસ તેની ઓળખ માટે તપાસ કરી રહી છે. એક તરફ હાડપિંજરની ઓળખ બાકી છે, ત્યારે બીજા જ દિવસે સાબરમતીમાંથી યુવકની લાશ મળતાં બંને ઘટનાઓને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જોકે, બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ બંને મામલે અલગ-અલગ તપાસ કરી રહી છે.








































