તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઇત્રાને પૈસા માટે સંસદમાં પ્રશ્નો પૂછવાના કેસમાં દિલ્હી હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે લોકપાલના મહુઆ મોઇત્રા વિરુદ્ધ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપતા આદેશને રદ કરી દીધો છે.અગાઉ, ૨૧ નવેમ્બરના રોજ, ન્યાયાધીશ અનિલ ક્ષેત્રપાલ અને હરીશ વૈદ્યનાથન શંકરની બેન્ચે મહુઆ મોઇત્રાને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મોઇત્રાએ દલીલ કરી હતી કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, ૨૦૧૩ હેઠળ લોકપાલ દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયામાં સ્પષ્ટ ખામીઓ છે.તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પુરાવા વકીલ જય અનંત દેહદરાય દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા.લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં, દુબેએ કહ્યું હતું કે તેમને મહુઆના ભૂતપૂર્વ મિત્ર અને વકીલ જય અનંત તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે મોઇત્રા અને જાણીતા ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની વચ્ચે પ્રશ્નો પૂછવા બદલ લાંચની આપ-લેના પુરાવા શેર કર્યા હતા. જયએ વ્યાપક સંશોધન કર્યું હોય તેવું લાગે છે જેના આધારે તેમણે તારણ કાઢ્યું હતું કે, મોઇત્રાએ તાજેતરમાં સંસદમાં પૂછેલા કુલ ૬૧ પ્રશ્નોમાંથી, લગભગ ૫૦ દર્શન હીરાનંદાની અને તેમની કંપનીના વ્યવસાયિક હિતોનું રક્ષણ કરવા માટે હતા.









































