બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં આંજણા (મારવાડી) ચૌધરી પટેલ સમાજે સામાજિક સુધારણાની નવી ઇતિહાસ રચ્યો છે. થરાદના ચાંગડા ગામે આવેલા રાજેશ્વર ધામ અને રાજારામ આશ્રમ ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં પાંચ પટ્ટીઓ થરાદરી, ડીસાવળી, હિન્દવણી, વાવેશી અને સાંચોરી એ સમાજનું સંપૂર્ણ સામાજિક બંધારણ તૈયાર કર્યું છે. મહંતશ્રી ૧૦૮ દયારામજી મહારાજની પવિત્ર હાજરીમાં અને શ્રી અખિલ આંજણા ચૌધરી પટેલ યુવા મંડળ, બનાસકાંઠાના સક્રિય સહયોગથી આ બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.
સમાજના વડીલો, પંચો, આગેવાનો અને યુવાનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માં ‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’ના સૂત્રને સાર્થક કરતું આ બંધારણ સમાજમાં એકતા, સંસ્કાર અને આર્થિક સંતુલન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.સમાજમાં સૌથી વધુ ચર્ચામાં આવેલા લગ્ન પ્રસંગને લઈને બંધારણમાં કડક નિયમો નક્કી કરાયા છે. જેમાં લગ્ન, સગાઈ કે અન્ય કોઈ પ્રસંગમાં ડીજે લાઉડસ્પીકર કે લાઉડ ગીતો વગાડવા પર પૂર્ણપણે રોક લગાવવામાં આવી છે.સાથે સાથે વર-વધૂએ સમાજની રીતરિવાજ મુજબના પોશાક પહેરવા ફરજિયાત રહેશે.
ચોરી ફેરા દરમિયાન વર-વધૂને ખુરસી કે સોફા પર બેસાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્નમાં પરંપરાગત રીતે જ ફેરા લેવાશે.એટલી જ નહીં કાગળની લગ્ન પત્રિકાઓ બંધ અને મોબાઈલમાં ડિજિટલ આમંત્રણ અથવા સાદા કાર્ડથી આમંત્રણ આપવા જણાવ્યુ છે.નિયમો અનુસાર લગ્નમાં ચા-કોફી માટે પ્લાસ્ટિક ના કપનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ રહેશે.પર્યાવરણ સુરક્ષા અને પરંપરાને માન આપીને કાચ અથવા માટીના વાસણોનો ઉપયોગ ફરજિયાત રહેશે.
સમાજની એકતા અને સ્થિર તા જાળવવા માટે કડક આર્થિક અને સામાજિક દંડની જાગવાઈઓ કરાઈ છે.જેમાં સગાઈ તોડવા બદલ ૭.૫૧ લાખ રૂપિયાનો દંડ, છૂટાછેડા માટે ૩.૧ લાખ રૂપિયાનો દંડ નો નિર્ણય લેવાયો છે આ સાથે જ સમાજની બહાર લગ્ન કરનારાઓને સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાયો છે.
આ નિયમોનો હેતુ સમાજમાં અસ્થિર તા રોકવાનો અને યુવાનોને જવાબદારીપૂર્વકના નિર્ણયો લેવા પ્રેરવાનો છે. બહેનો અને દીકરીઓને સમાજના પ્રસંગ સિવાય અન્ય કોઈ રાત્રિના મેળાવડામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.બંધારણમાં વ્યસન, બિનજરૂરી ખર્ચ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રાવધાનો પણ સામેલ છે.