અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને ચોરીની મોટી ઘટના સામે આવી છે. પેઢીના સંચાલકે માત્ર ૧૧ દિવસ પહેલા જ નોકરી પર રાખેલો યુવક સોના-ચાંદીના કિંમતી દાગીના સહિત કુલ ૮૦.૫૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગયો છે. આ મામલે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
મળતી માહિતી અનુસાર, રાણીપ વિસ્તારમાં રહેતા અને આંગડિયા પેઢીના સંચાલક અંકિત પારેખે થોડા સમય પહેલા જ જીગરસિંહ વિહોલા નામના યુવકને પાર્સલ ડિલિવરીના કામ માટે નોકરીએ રાખ્યો હતો. શરૂઆતના દિવસોમાં જીગરસિંહે વ્યવસ્થિત કામ કરીને માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો. જાકે, ગત છઠ્ઠી મેના રોજ તેને એક મોટી જવાબદારી સોંપવામાં આવી જે તેની દાનત બગાડવાનું કારણ બની હતી.
ઘટનાની વિગત એવી છે કે, અલગ-અલગ વેપારીઓના કિંમતી પાર્સલ, જેમાં ભુજના કચ્છી જ્વેલર્સની ચાંદીની પાટો અને અન્ય સોના-ચાંદીના દાગીના સામેલ હતા. આશરે ૮૦.૫૬ લાખ રૂપિયાની કિંમતનો આ મુદ્દામાલ જીગરસિંહને ભુજ પહોંચાડવા માટે આપવામાં આવ્યો હતો. જીગરસિંહ બસમાં રવાના તો થયો, પરંતુ ભુજ સ્ટેશન પર તેને લેવા આવેલા પેઢીના અન્ય કર્મચારીને તે મળ્યો ન હતો. તેનો મોબાઈલ ફોન પણ સતત સ્વીચ ઓફ આવતા સંચાલકોને શંકા ગઈ હતી.
ઘણાં સમય સુધી જીગરસિંહની કોઈ ભાળ ન મળતા આખરે માલિક અંકિત પારેખે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. આરોપીના રહેઠાણ અને સંભવિત ઠેકાણાઓ પર તપાસ તેજ કરી છે. આંગડિયા પેઢીઓમાં નવા કર્મચારીઓની ભરતી વખતે પોલીસ વેરિફિકેશન કેટલું જરૂરી છે, તે આ કિસ્સા પરથી ફરી એકવાર સાબિત થયું છે.








































