તમિલનાડુના મુખ્યમંત્રી અને ટીવીકેના વડા વિજયના અંગત જ્યોતિષી, રિકી રાધન પંડિત વેટ્રીવેલને રાજ્ય સરકારમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તમિલનાડુ સરકારે તેમને તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીના ખાસ ફરજ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. સરકારી આદેશમાં જણાવાયું હતું કે તેમની નિમણૂકની શરતો અને નિયમો પછીની તારીખે અલગથી જારી કરવામાં આવશે. સરકારી આદેશમાં જણાવાયું હતું કે, “થિરુ રિકી રાધન પંડિત વેટ્રીવેલને મુખ્યમંત્રીના ખાસ ફરજ અધિકારી (રાજકીય) તરીકે નિયુક્ત કરવામાં આવે છે જે તારીખથી તેઓ કાર્યભાર સંભાળે છે.”

આદેશમાં વધુમાં જણાવાયું હતું કે નિમણૂકની શરતો અને નિયમો અલગથી જારી કરવામાં આવશે. રાધન પંડિત વેટ્રીવેલ એ જ જ્યોતિષી છે જેમણે અગાઉ વિજય અને તેમની પાર્ટી, તમિલનાડુ વેટ્રી કઝગમની જીતની આગાહી કરી હતી. ચૂંટણીમાં વિજય બાદ, તેમને હવે તમિલનાડુ સરકારમાં એક મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યું છે. રાજ્યના રાજકારણમાં ઘણા અગ્રણી નેતાઓ સાથે તેમના ગાઢ સંબંધો અને મુખ્ય નિર્ણયો પર તેમના પ્રભાવ અંગે લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે.

તમિલનાડુના રાજ્યપાલે વિજયની સરકાર બનાવવાની કોશિશને ઘણી વખત નકારી કાઢ્યા બાદ, આખરે તેમને સરકાર બનાવવાની મંજૂરી મળી ગઈ. વિજયે શરૂઆતમાં ૧૦ મેના રોજ બપોરે ૩ઃ૪૫ વાગ્યે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કર્યું હતું, પરંતુ બાદમાં, રાધન પંડિતની સલાહ પર, તે બદલીને સવારે ૧૦ વાગ્યે કરવામાં આવ્યું. વેટ્રિવેલ તેમના રાજકીય કારકિર્દી દરમિયાન વિજયના સતત સલાહકાર રહ્યા હોવાનું કહેવાય છે. હવે, વિજય મુખ્યમંત્રી બન્યા પછી, વેટ્રિવેલનું રાજકીય અને વહીવટી સ્તર પણ વધ્યું છે.

રાધન પંડિતને તમિલનાડુમાં એક અગ્રણી આધ્યાત્મીક ગુરુ અને જ્યોતિષી માનવામાં આવે છે. તેમણે ચૂંટણી પહેલા વિજયની જીતની આગાહી કરી હતી. માત્ર વિજય જ નહીં, પરંતુ તમિલનાડુની ઘણી અગ્રણી રાજકીય હસ્તીઓએ પણ રાધન પંડિતની સલાહ લીધી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ પણ રાધન પંડિતની સલાહ લીધા પછી ઘણા મોટા નિર્ણયો લીધા હોવાનું કહેવાય છે. રાધન પંડિત સોશિયલ મીડિયા દ્વારા લોકોને જ્યોતિષીય સલાહ પણ આપે છે. જોકે, એ સ્પષ્ટ નથી કે ચાર દાયકાથી જ્યોતિષ ક્ષેત્રમાં સક્રિય રહેલા રાધન પંડિતે ક્યારેય રાજકારણમાં પ્રવેશવાની કલ્પના કરી હતી કે નહીં.