ગુજરાતભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત સાથે ગણપતિ બાપ્પાની ભક્તિમાં લોકો રંગાઈ ગયા છે. ત્યારે મહેસાણા શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન વર્ષોથી ચાલી આવતી એક અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. શહેરના ફુવારા સર્કલ નજીક આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં બિરાજમાન ગણપતિ બાપ્પાને મહેસાણા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ પરંપરા ૧૦૦ વર્ષથી પણ વધુ જૂની હોવાનું મંદિર સાથે સંકળાયેલા લોકો જણાવે છે. વરસતા વરસાદ વચ્ચે પોલીસ કર્મીઓ દ્વારા ગણપતિ બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતાં સ્થળ પર ધાર્મિક આસ્થા અને પરંપરાનું અનોખું દૃશ્ય જાવા મળ્યું હતું.
મહેસાણા શહેરના ફુવારા સર્કલ પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરનું ધાર્મિક મહત્વ વિશેષ માનવામાં આવે છે. અહીં બિરાજમાન ગણપતિજીની પ્રતિમા જમણી સૂંઢવાળી છે. સામાન્ય રીતે અનેક ગણપતિ મંદિરોમાં ડાબી સૂંઢવાળી પ્રતિમા જાવા મળે છે, જ્યારે આ મંદિરમાં જમણી તરફ સૂંઢ ધરાવતી ગણપતિજીની પ્રતિમા હોવાથી ભક્તોમાં તેનું વિશેષ આકર્ષણ છે. ગણેશ ચતુર્થીના દિવસોમાં મહેસાણા ઉપરાંત આસપાસના વિસ્તારો અને ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપ્પાના દર્શન માટે પહોંચે છે.મંદિરના પૂજારી લાલજી મહારાજ અને ટ્રસ્ટી બાબુપુરી ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ગણપતિ મહોત્સવ દરમિયાન પોલીસ દ્વારા બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા જૂના સમયથી ચાલી આવે છે. મંદિર સાથે જાડાયેલા લોકો આ પરંપરાને ગાયકવાડ શાસનકાળ સાથે સાંકળે છે. તેમના જણાવ્યા પ્રમાણે વડોદરાના સયાજીરાવ ગાયકવાડના સમયગાળાથી ગણેશ મહોત્સવ સાથે આ પરંપરા આગળ વધતી આવી છે.
મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ, ગણપતિ બાપ્પાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ૧૯૨૧થી ચાલી આવી હોવાનું કહેવામાં આવે છે. તે સમયગાળામાં મહેસાણા પોલીસ હેડક્વાર્ટરથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મંદિર પાસે આવી ગણપતિ બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપતા હતા. સમય બદલાયો, ગણેશ મહોત્સવનું સ્વરૂપ પણ બદલાયું, પરંતુ આ પરંપરા આજે પણ ચાલુ છે. આ વર્ષે પણ ગણેશ મહોત્સવના પ્રસંગે પોલીસ કર્મચારીઓએ વરસતા વરસાદ વચ્ચે મંદિર ખાતે પહોંચી બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
સિદ્ધિ વિનાયક મંદિરના ઇતિહાસ અંગે મંદિરના પૂજારી અને ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉદાસીન સંપ્રદાયના મહાત્મા નિરંજનદાસ મહારાજ ભારતભ્રમણ દરમિયાન મહેસાણા આવ્યા હતા. અહીં તેમણે ધુણી ધખાવીને જમણી સૂંઢવાળા ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી હોવાનું મંદિર સાથે સંકળાયેલા લોકો જણાવે છે. મળતી માહિતી મુજબ, ૧૯૧૧માં નિરંજનદાસ ગુરુએ અહીં જમીન ખરીદી હતી અને ત્યારબાદ ૧૯૧૭માં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ સ્થળ ધીમે ધીમે ભક્તિનું મહત્વનું કેન્દ્ર બન્યું છે.
ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે મહેસાણામાં વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની વર્ષો જૂની પરંપરા પણ નિભાવવામાં આવી હતી. જમણી સૂંઢવાળા ગણપતિની વિશેષ પ્રતિમા, સિદ્ધિ વિનાયક મંદિરનો જૂનો ઇતિહાસ અને પોલીસ દ્વારા આપવામાં આવતું ગાર્ડ ઓફ ઓનર, આ ત્રણેય બાબતોને કારણે મહેસાણાનું આ ગણપતિ મંદિર ગણેશ મહોત્સવ દરમિયાન ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે.









































