સુપ્રીમ કોર્ટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલા કથિત મોટા બેંકિંગ કૌભાંડ પર સુનાવણી ૮ મે સુધી મુલતવી રાખી છે. આ કેસમાં હજારો કરોડ રૂપિયાના કથિત લોન કૌભાંડનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટ ભૂતપૂર્વ અમલદાર ઇ એ એસ શર્મા દ્વારા દાખલ કરાયેલ જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓએ ૪૦,૦૦૦ કરોડથી વધુની બેંક લોનમાં છેતરપિંડી કરી છે અને આ મામલાની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ થવી જોઈએ.
સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી કે સીબીઆઇ અને ઈડી એ કોર્ટના અગાઉના આદેશ અનુસાર નવો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. બંને એજન્સીઓ કેસની તપાસ કરી રહી છે અને અનેક નાણાકીય પાસાઓ પર કામ ચાલુ છે. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે તપાસમાં વિલંબ થઈ રહ્યો છે અને કથિત મુખ્ય આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
અનિલ અંબાણીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને વિનંતી કરી કે તેમને તેમનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી કોર્ટમાં ઘણા મહત્વપૂર્ણ તથ્યો સંપૂર્ણપણે રજૂ કરવામાં આવ્યા નથી.
સુપ્રીમ કોર્ટ ખાનગી એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા અનિયમિત અને અસ્થિર વિમાન ભાડા અને વધારાના ચાર્જને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા બંધનકર્તા બનાવવા માટેની બીજી એક મહત્વપૂર્ણ અરજી પર પણ વિચાર કરશે. અરજીમાં જણાવાયું છે કે આ અચાનક ભાડા વધારાથી સામાન્ય મુસાફરો પર નાણાકીય બોજ પડે છે.
કોર્ટ દેશમાં ટ્રોમા કેર સિસ્ટમ સુધારવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર પણ સુનાવણી કરશે. અરજદારે દલીલ કરી છે કે માર્ગ અકસ્માતો અને અન્ય કટોકટીમાં સમયસર સારવારના અભાવે ઘણા લોકો જીવ ગુમાવે છે.
સુપ્રીમ કોર્ટ ન્યાયિક સેવામાં પ્રવેશ માટે ત્રણ વર્ષની કાનૂની પ્રેક્ટીસ ફરજિયાત બનાવવાની તેના અગાઉના નિર્ણયની સમીક્ષાની માંગ કરતી અરજીઓ પર પણ સુનાવણી કરશે. અરજદારોની દલીલ છે કે આ નિયમ ઘણા લાયક ઉમેદવારો માટે તકોને મર્યાદિત કરી શકે છે.







































