ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે સંરક્ષણ, સાયબરસ્પેસ અને લશ્કરી તાલીમમાં સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ કરારો થયા હતા. રાજનાથ સિંહ અને તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ આહ્ન ગ્યુ-બાક વચ્ચે સિઓલમાં આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. તેમણે ભારતની પરમાણુ નીતિ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, “ભૂતકાળના ભારત અને આજના ભારત વચ્ચે સ્પષ્ટ તફાવત છે. વિશ્વ એક સમયે ભારતને ફક્ત સોફ્ટ પાવર તરીકે જાતું હતું, પરંતુ આજે વિશ્વ ભારતને ઉકેલો પ્રદાન કરતી શક્તિ તરીકે જુએ છે. ભારત એક જવાબદાર પરમાણુ શક્તિ છે અને ‘નો ફર્સ્ટ યુઝ’ ની નીતિ પ્રત્યે દૃઢપણે પ્રતિબદ્ધ છે. અમે આંતરરાષ્ટ્રીય મંચો પર આ નીતિનું પુનરાવર્તન કર્યું છે. નો ફર્સ્ટ યુઝની નીતિને બધાએ સ્વીકારવી જાઈએ. પરંતુ ક્યારેક લોકો સંયમ અને શાંતિની અમારી વાતને નબળાઈ સમજી લે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભારત નો ફર્સ્ટ યુઝની નીતિ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પરંતુ ભારત ક્યારેય કોઈપણ પ્રકારના પરમાણુ બ્લેકમેલને સહન કરશે નહીં.”
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “અમારી સરકારના કાર્યકાળ દરમિયાન, સંરક્ષણ ક્ષેત્રમાં મોટો પરિવર્તન આવ્યો છે. ભારતની નીતિ હવે પ્રતિક્રિયાશીલ નથી, પરંતુ સક્રિય છે. કોઈપણ કિંમતે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવશે નહીં, અને આ સંકલ્પ સાથે, ભારત ઝડપથી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે. વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ, અમારી સરકારે આત્મનિર્ભરતા વધારી છે અને સામાજિક ન્યાયને નવી ગતિ આપી છે. છેલ્લા ૧૨ વર્ષના પરિવર્તનથી દેશની માન્યતા વધુ મજબૂત થઈ છે કે ભારત ચોક્કસપણે વિકસિત થઈ રહ્યું છે.”